કોરોના મહામારીને કારણે પંજાબ સરકારે લોકડાઉન અને કર્ફ્યૂ વધુ બે અઠવાડિયા લંબાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે જાહેરાત કરતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન દરરોજ સવારે 7થી 11 વાગ્યા સુધી લોકોને ચાર કલાક છૂટછાટ આપવામાં આવશે. આ દરમિયાન લોકો પોતાના ઘરેથી બહાર નીકળી શકે છે અને દુકાનો ખુલ્લી રહેશે.

ગયા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચર્ચા દરમિયાન કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીએ વડાપ્રધાનને લોકડાઉન લંબાવવાની માગણી કરી હતી. જો કે કેટલાક રાજ્યાએ સંપૂર્ણ રીતે લોકડાઉનને બદલે કેટલીક છૂટછાટ સાથે લોકડાઉન લાગુ કરવા જણાવ્યું હતું.

ત્રણ મેના રોજ લોકડાઉન સમાપ્ત થઈ જશે તેના પહેલા પંજાબના મુખ્યમંત્રીએ લોકડાઉનને બે અઠવાડિયા લંબાવવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે પંજાબ સરકારે દુકાનોને ખોલવાની પણ વાત કરી જેથી લોકો જરૂરી વસ્તુઓ ખરીદી શકે. જો કે ઘરેથી નીકળતા પહેલા લોકોએ માસ્ક પહેરવાની સાથે સાથે સોશિયલ ડિન્ટન્સિંગનું પાલન કરવું પડશે. પંજાબના કોરોના વાયરસના 12 નવા કેસની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 342 થઈ ગઈ છે.