મહાવીર ફાઉન્ડેશન જૈન પાઠશાળા દ્વારા 15 માર્ચ 2026, રવિવારના રોજ સેલ્વેટોરિયન કોલેજ ખાતે પવિત્ર અને ભાવભીની ભક્તિ સંધ્યા તથા માતૃદિન ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના બાળકો અને તેમના માતા-પિતાને ભગવાન સાથે જોડાવા, પ્રેરિત કરવા તથા જીવનમાં માતાના અપરિમિત મહત્વને સમજાવવાનો હતો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘ભક્તિ સંધ્યા’ રહ્યું હતું. જેમાં મહાવીર ફાઉન્ડેશનના ‘અરિહંત કૃપા બેન્ડ’ના 10 થી 16 વર્ષની ઉંમરના પ્રતિભાશાળી બાળકો દ્વારા પરંપરાગત અને આધુનિક સંગીત સાધનોના સુમેળ સાથે અદભૂત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમણે પોતાની અનોખી કળા અને નિપુણતા દ્વારા ભક્તિમય સ્તવનો એટલા ભાવપૂર્ણ રીતે ગાયા હતા કે સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં તરબોળ બની ગયું હતું. હાજર દરેક વ્યક્તિએ ભગવાન સાથેની આત્મીયતા અનુભવી હતી અને માતૃભાષામાં નિપુણતાપૂર્વક ગાતા આ નાના કલાકારોની પ્રતિભાને દિલથી વખાણી હતી.
આ સુંદર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુરુ શ્રી સચિન સરના અવિરત પરિશ્રમ અને માર્ગદર્શન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભક્તિ સંધ્યા પછી, મહાવીર ફાઉન્ડેશન જૈન પાઠશાળાના 2 થી 16 વર્ષની ઉંમરના બાળકોને મંચ પર પોતાની માતા તેમજ તમામ માતાઓ પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરવાની અનમોલ તક મળી હતી. બાળકોની આ પ્રસ્તુતિઓ હાસ્ય, આનંદ અને ખુશીના આંસુઓથી ભરપૂર રહી હતી જેને કારણે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું.
કાર્યક્રમના સંચાલક અને ગુરુ શ્રી પલકભાઈ અને ગુરુ શ્રી સૌરભભાઈએ માતાના મહિમા પરના ભાવુક શબ્દો સાથે સુંદર સંચાલન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
મહાવીર ફાઉન્ડેશને ફરી એકવાર સાબિત કર્યું હતું કે તે એક એવો પવિત્ર મંચ છે જ્યાં ભાવિ પેઢીનું સંસ્કારસભર ઘડતર થાય છે, જે સંસ્કૃતિ, મૂલ્યો અને ધાર્મિક આસ્થાનું સંરક્ષણ કરીને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુખનો સંદેશ ફેલાવશે.

મહાવીર ફાઉન્ડેશનની પ્રતિષ્ઠાના 14માં ભવ્ય વર્ષની ભવ્ય ઉજવણી તા. 26, 27 અને 28 જૂનના રોજ કરાશે

મહાવીર ફાઉન્ડેશનની પ્રતિષ્ઠાના 14મા ભવ્ય વર્ષની ઉજવણીનું આયોજન આગામી તા. 26, 27 અને 28 જૂન 2026ના રોજ મહાવીર ફાઉન્ડેશન, લંડન ખાતે ભક્તિ અને આધ્યાત્મિકતા તથા સમુદાયના સાથ સહકારથી કરવામાં આવશે.  આ પ્રતિષ્ઠા મહોત્સવ સૌને એક સાથે આવવા, આશીર્વાદ મેળવવા અને આપણા પવિત્ર દેરાસરની દૈવી ઉર્જાનો અનુભવ કરવાની શ્રેષ્ઠ તક છે. આ ઉજવણીમાં જોડાવા સૌને સંસ્થાના અગ્રણીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

આ પ્રસંગે અઢાર અભિષેક, સ્વામી વાત્સલ્ય, ભક્તિ સંગીત પ્રોગ્રામ, શોભાયાત્રા, નવકારશી, ધ્વજા વધામણી, ઉચ્છવણી મહોત્સવ, ધજા બદલી વિધિ વગેરે પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

સંપર્ક: દેરાસર: 020 8206 1659 – www.mahavirfoundation.com