(Photo by MONEY SHARMA/AFP via Getty Images)

ભારતમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે રવિવારે દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં મનમોહને કોરોના વાયરસ સામે લડવા માટેની કેટલીક સલાહ આપી છે. પત્રમાં તેમણે દેશમાં રસીકરણનો વ્યાપ વધારવાની વાત કરી છે.

મનોમોહનસિંઘે પત્રમાં લખ્યું છે કે સરકારે સાર્વજનિક કરવું જોઇએ કે કઇ વેક્સિન ઉત્પાદક કંપનીઓને આગામી 6 મહિના માટે કેટલા ડોઝ વેક્સીનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જો આપણે 6 મહિનાની અંદર રસીકરણના લક્ષ્યને પુરો કરવો હશે તો તેના માટે પુરતા ઓર્ડર આપવાની પણ જરુર છે. જેથી સમય પર પુરતી રસી મળી શકે.

મનમોહન સિંઘે લખ્યું છે કે સરકારે રાજ્યને પારદર્શક રીતે વેક્સીન આપવી જોઇએ. આપણે કેટલા લોકોનું રસીકરણ કર્યુ, તે જોવાના બદલે કેટલા ટકા વસતીનું રસીકરણ કર્યુ તે ધ્યાને લેવું જોઇએ. સરકારે રાજ્યોને ફ્રન્ટલાઇન વર્કરની શ્રેણી નક્કી કરવાની છૂટ આપવી જોઇએ.

મનમોહનસિંહે પત્રમાં આગળ લખ્યું છે કે ભારત દુનિયાનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. સરકારે વેક્સીન ઉત્પાદક કંપનીઓને જરુરી ફંડ અને મદદ આપવી જોઇએ, જેથી મોટી સંખ્યામાં રસીનું ઉત્પાદન થઇ શકે. અત્યારે કાયદામાં થોડો ફેરફાર કરીને વિવિધ કંપનીઓને લાઇસન્સના માધ્યમથી વધારેમા વધારે કંપનીઓ રસીનું ઉત્પાદન કરી શેકે તેવું કરવું જોઇએ.