(PTI Photo)

ઓડિશાના કટકમાં આવેલી સરકારી SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેરના ICUમાં સોમવાર વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 દર્દીઓ બળીને ભળથું થયાં હતાં અને દર્દીઓને બચાવવાનો પ્રયાસ કરતી વખતે 11 કર્મચારીઓ દાઝી ગયા હતાં. ઘાયલમાંથી પાંચની હાલત ગંભીર હતી. રાજ્યના મુખ્યપ્રઘાન મોહન ચરણ માઝીએ ઘટના સ્થળે પહોંચીને ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો.

મુખ્યપ્રધાને જણાવ્યું કે ટ્રોમા કેર ICU અને નજીકના વોર્ડમાં કુલ 23 દર્દીઓ સારવાર હેઠળ હતાં. આગ લાગ્યા બાદ સાત દર્દીઓના સ્થળ પર જ મોત થયા હતાં, જ્યારે અન્ય ત્રણ દર્દીઓને બહાર કાઢતી વખતે દાઝવાથી અથવા ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાને ખૂબ જ દુખદ ગણાવી મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દરેક મૃતકના પરિવારે 2 લાખ રૂપિયાનું વળતર અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેર કરી હતી. ઓડિશાના મુખ્યમંત્રીએ પણ દરેક મૃતકના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

પ્રાથમિક માહિતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઘટના સવારે અંદાજે 2.30થી 3 વાગ્યાની વચ્ચે બની હતી. આગ લાગતા જ ફાયર બ્રિગેડની ટીમ હોસ્પિટલ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર કર્મચારીઓ, હોસ્પિટલ સ્ટાફ, પોલીસ અને દર્દીઓના સગાઓએ મળીને ICUમાં સારવાર લઈ રહેલા દર્દીઓને બહાર કાઢી હોસ્પિટલના અન્ય વિભાગોમાં ખસેડ્યા હતાં. કેટલાક સાક્ષીઓએ જણાવ્યું કે વીજ પુરવઠો બે વખત ખોરવાયો બાદ ICUમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો.

 

LEAVE A REPLY