બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેત્રી મૃણાલ ઠાકુર (ANI Photo)

સંજય લીલા ભણસાળી, ઉમેશકુમાર બંસલ અને ઝી સ્ટૂડિયોઝ દ્વારા નિર્મિત નવી ફિલ્મ ‘દો દીવાને શહેર મેં’ તાજેતરમાં રીલીઝ થઇ છે. આ ફિલ્મ દ્વારા મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદી પ્રથમવાર સાથે મોટા પડદે જોવા મળી રહ્યાં છે.

કહેવાય છે કે, સંજય લીલા ભણશાળીની ફિલ્મની કહાનીમાં એક અલગ જ પ્રકારની ચમક-દમક હોય છે અને આ ફિલ્મમાં રોમાન્સ પણ સંપૂર્ણ જુદી રીતે દર્શાવવામાં આવે હોય છે. ફિલ્મમાં મુખ્ય કલાકારો મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચેનો તાલમેલ બતાવવામાં આવ્યો છે.

આ ફિલ્મની કહાની મુજબ, શશાંક નામનો યુવક વર્કિંગ પ્રોફેશનલ હોય છે, તેની પાસે તમામ પ્રકારની સુખ-સુવિધા છે. તેનામાં ફક્ત એક જ ખામી છે, તેને બોલવામાં ખૂબ જ તકલીફ પડે છે. આ કારણે તે લોકોની વચ્ચે બોલતા પહેલા મનમાં ખચકાટ અનુભવે છે.

બીજી તરફ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતી રોશની નામની એક યુવતી છે, જો કે તે ક્યારેક પોતાને અસુરક્ષિત અનુભવે છે. તે માને છે કે તે તેની મોટી બહેન નૈના (સંદીપ ઘર) જેટલી સુંદર નથી.

તે તેના ચહેરાને કાળા મોટા ફ્રેમનાં ચશ્માથી છુપાવે છે. રોશનીને બે વર્ષ અગાઉ પ્રેમ ભંગનો અનુભવ થયો હોવાથી તેને પ્રેમમાં કોઇ રસ-રુચિ નથી. આ કારણે રોશની લગ્ન માટે અનેક છોકરાઓને રીજેક્ટ કરે છે. આ યુવકોની માતાઓ તેમને રોશની સાથે દબાણપૂર્વક મળાવે છે. આથી રોશનીને લાગે છે કે. ભારતમાં મોટાભાગનાં લગ્ન પ્રેમથી નહીં, પરંતુ મજબૂરીથી થાય છે.

હવે કહાનીમાં નવો વળાંક આવે છે. રોશની અને શશાંક પ્રથમવાર મળે છે. આ બંને પોતપોતાની ખામી સહિતના વિવિધ પડકારો સામે ઝઝૂમતા હોય છે. રોશનીને શશાંક પ્રથમ મુલાકાતમાં જ પસંદ આવે છે. હવે આગળની સ્ટોરી જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મનું દિગ્દર્શન રવિ ઉદયવારે કર્યું છે. સંવાદ અને પટકથા લેખન અભિરુચિ ચાંદનું છે. આ ફિલ્મના અન્ય કલાકારોમાં ઇલા અરુણ, જોય સેનગુપ્તા, આયેશા રઝા મિશ્રા અને મોના અંબેગાંવકર વગેરેનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY