ઇરાન યુદ્ધની અસરને કારણે પાકિસ્તાનમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈરાન યુદ્ધની અસરને સરભર કરવા માટે અનેક અસાધારણ પગલાંની સોમવાર, 9 માર્ચે જાહેરાત કરી હતી. જેમાં ઘરેથી કામ (WFH), ફોર-ડે વર્ક વીક, તમામ સ્કૂલ-કોલેજો બંધ રાખવાના સહિતના પગલાંનો સમાવેશ થાય છે.
સરકારી પીટીવી અને અન્ય ખાનગી ચેનલો પર રાષ્ટ્રને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે યુદ્ધની અસર સરહદો પૂરતી સીમિત રહેતી નથી અને તેની બીજા દેશોને પણ અસર થાય છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ગલ્ફમાંથી આવતા ક્રૂડ ઓઇલના પુરવઠા પર નિર્ભર છે અને તેલના ભાવમાં વધારાને કારણે દેશ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.
વિવિધ પગલાંની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સરકારે નિર્ણય કર્યો છે કે જાહેર અને ખાનગી ક્ષેત્રના 50 ટકા કર્મચારીઓ ઇંધણ બચાવવા માટે ઘરેથી કામ કરશે. વધુમાં તેઓ અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ કામ કરશે. જોકે બેંકો અને ચાવીરુપ મુખ્ય ઉદ્યોગોને આ નવા નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવશે.
શાહબાઝે જણાવ્યું હતું કે સરકારે આગામી બે મહિના માટે સરકારી વાહનોને ઇંધણ ફાળવણીમાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 60 ટકા સરકારી વાહનો કામ કરવાનું બંધ કરી દેશે. તમામ કેબિનેટ પ્રધાનો અને સલાહકારોને બે મહિના સુધી કોઈ પગાર મળશે નહીં અને આ સમયગાળા દરમિયાન બધા સંસદસભ્યોના પગારમાં 25 ટકાનો ઘટાડો કરાશે. ગ્રેડ 20 અને તેથી વધુ ગ્રેડના તમામ સરકારી કર્મચારીઓ, જેઓ દર મહિને 300,000 રૂપિયાથી વધુ પગાર મેળવે છે, તેઓ એક વખત માટે બે દિવસનો પગાર પરત કરશે.
તેમણે કહ્યું હતું કે તમામ સરકારી વિભાગોના ખર્ચમાં 20 ટકાનો ઘટાડો કરાશે તથા કાર, એર કન્ડીશનીંગ સિસ્ટમ અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદી પર પ્રતિબંધ રહેશે.તેમણે મંત્રીઓ, સલાહકારો અને અધિકારીઓના તમામ સત્તાવાર વિદેશ પ્રવાસો પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આવશ્યક વિદેશ પ્રવાસોને આમાંથી મુક્તિ અપાશે.
તેમણે મુસાફરીમાં થતા ઇંધણના ખર્ચને બચાવવા માટે ફરજિયાત ટેલિકોન્ફરન્સ અને ઓનલાઇન મીટિંગ્સ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. તમામ સરકારી ભોજન સમારંભ અને ઇફ્તાર પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
તેમણે હોટલોમાં સરકાર સંબંધિત સેમિનાર યોજવા પર પણ પ્રતિબંધ મૂક્યો અને તેના બદલે આવા કાર્યક્રમો જાહેર ઇમારતોમાં યોજવા જોઈએ તેવો આદેશ આપ્યો.













