વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર નર્મદા નદી ઉપર રૂ. ૨૨૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા પૂલનું ૨૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન લોકાર્પણ કરાશે. આ બ્રિજના કારણે વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડ, મહારાષ્ટ્ર જવા માટે ૨૦ કિલોમિટરનું અંતર ઓછું થઇ જશે અને કપરા ચઢાણ, ડુંગરાળ વિસ્તારનો માર્ગ એક તરફ થઇ જશે.

એક રસપ્રદ વાત એ પણ છે કે, છેક મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળીને ખંભાતના અખાતમાં સમુદ્રને મળતી નર્મદા નદીના ૧૩૧૨ કિલોમિટરના લાંબા પ્રવાહ ઉપરથી વાહનો પસાર કરવા માટે અત્યાર સુધી કુલ 56 બ્રિજ બનાવવામાં આવ્યા છે. નર્મદા નદી ઉપર મહત્તમ બ્રિજ મધ્યપ્રદેશમાં છે. આ બ્રિજની માહિતી આપતા કાર્યપાલક ઇજનેર કમલેશ થોરાટે કહ્યું કે, ડભોઇ, શિનોર, માલસર અને અશા તરફના રાજમાર્ગ ઉપર નર્મદા નદી પર પીએસસી ગર્ડર ડેક પૂલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. બ્રિજ માટે ૧૬ પિલ્લર બનાવવામાં આવ્યા છે. બીજી એક રસપ્રદ વાત તો એ છે કે રૂ. ૨૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ પુલ માટે કુલ ૧૨ હજાર ટન વિવિધ પ્રકારનું લોખંડ અને ૨૦ હજાર ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુલ ૩.૫ કિલોમિટરની લંબાઇ અને ૧૬ મીટરની પહોળાઇ ધરાવતા આ બ્રિજનો ૯૦૦ મીટરનો હિસ્સો નદી ઉપરથી પસાર થયો છે. બાકી અશા તરફ ૬૦૦ મિટર અને માલસર તરફ બે કિલોમિટરનો ભાગ છે.

બ્રિજ બનતા શિનોર તાલુકાને નર્મદા જિલ્લાના નાંદોદ તથા ભરૂચ જિલ્લાના ઝગડિયા જવા માટે વીસેક કિલોમિટરનું અંતર ઓછું થશે. વડોદરાથી નેત્રંગ, ડેડિયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજું જતાં વાહનવ્યવહારને સરળતા થશે. તદ્દઉપરાંત, રાજપીપળા, ડેડિયાપાડાની ઘાટીઓના ચઢાણ ચઢવામાંથી ભારે વાહનોને મુક્તિ મળશે. સમય અને ઇંધણમાં બચત થશે.

LEAVE A REPLY

nineteen − eleven =