(Photo by Justin Sullivan/Getty Images)

ટાઇપ-2 ડાયાબિટીઝનો સામનો કરવા માટે આજથી હજારો લોકો NHS સૂપ એન્ડ શેક વેઇટ લોસ પ્લાન દ્વારા વજન ઘટાડવાની યોજનાઓનો લાભ લઇ શકશે. ખૂબ ઓછી-કેલરીયુક્ત આહાર અને જીવનશૈલી યોજનાઓને ટાઇપ-2 ડાયાબિટીસમાંથી મુક્તિ મેળવવા માટે બતાવવામાં આવી છે. આગામી તબક્કામાં 10 વિસ્તારોમાં 5,000થી વધુ દર્દીઓને તેનો લાભ આપવામાં આવશે.

ડાયાબિટીઝના કારણે એનએચએસ એક વર્ષમાં £10 બિલીયનનો ખર્ચ થાય છે અને જી.પી. દ્વારા લખાયેલા 20 પ્રિસ્ક્રિપ્શનોમાંથી એક ડાયાબિટીસની સારવાર માટે હોય છે. લોકોને તંદુરસ્ત જીવનશૈલી જાળવવામાં અને મેદસ્વી દર્દીઓ સાથે સંકળાયેલી મુશ્કેલીઓથી બચવામાં મદદ કરવા માટે, ક્લિનિશિયન અને કોચ દ્વારા સતત ટેકો અને સામાન્ય, પૌષ્ટિક આહાર પ્રદાન કરવામાં આવશે. એક અભ્યાસમાં જણાયું હતું કે જે લોકો ઓછા કેલરીવાળા આહાર પર ગયા હતા તેમનામાંથી અડધા લોકોએ એક વર્ષ પછી તેમના ટાઇપ 2 ડાયાબિટીઝમાંથી મુક્તિ મેળવી હતી. એનએચએસ સંશોધનમાં બહાર આવ્યું છે કે ટાઇપ 2 ડાયાબિટીઝવાળા લોકોમાં કોરોનાવાયરસથી મૃત્યુનું જોખમ બે ગણુ વધારે છે.

નોર્થ કેરોલાઇના યુનિવર્સિટીના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે મેદસ્વી લોકોને કોરોનાવાયરસના કારણે  હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 113% જેટલી વધુ અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ થવાની સંભાવના 74% વધારે છે.

ડાયાબિટીઝ અને મેદસ્વીપણા માટેના એનએચએસના રાષ્ટ્રીય ક્લિનિકલ ડિરેક્ટર, પ્રોફેસર જોનાથન વલભજીએ જણાવ્યું હતું કે “અમારા લાંબા ગાળાના પ્લાન દ્વારા, એનએચએસ, ઝડપથી આરોગ્યપ્રદ વજન જાળવી રાખવા અને મોટા રોગોથી બચવા માટે, પુરાવા આધારીત નવીનતમ ઉપચાર ઝડપથી અપનાવી રહ્યું છે. દેશભરના હજારો લોકો માટે એ સારા સમાચાર છે કે આ પ્રકારના પગલાં NHS પર વધુને વધુ ઉપલબ્ધ થાય છે.”