પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ઇંગ્લેન્ડ સામેની ક્રિકેટ મેચ બાદ વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે 17 માર્ચથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂનો અમલ કરવાનો મંગળવારે નિર્ણય કર્યો હતો. નાઇટ કરફ્યૂ 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.

સરકારના નિર્ણયને પગલે ST દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચારેય શહેરોમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહી કરે. જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મહાનગરોના કમિશનરોને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઇ છે. તેઓ અન્ય પગલાં લેવા મુદ્દે પણ ચર્ચા કરશે. કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.

સોમવારે અમદાવાદના 8 વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.