મહેસાણા જિલ્લાના પિલવાઇમાં ગુરુવારે ઓમિક્રોન વાઇરસનો નવો કેસ નોંધાતા ગુજરાતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને પાંચ થઈ હતી. અગાઉ જામનગરમાં ત્રણ અને સુરતમાં એક કેસ નોંધાયો હતો. પિલવાઈમાં 6 દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતા સાસુ વહુને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ બન્નેમાંથી વહુનો કેસ ઓમિક્રોન પોઝિટિવ નોંધાયો હતો.

પિલવાઈમાં રહેતા 43 વર્ષીય મહિલાના પતિના નિધન બાદ શોક સભામાં અનેક લોકો આવ્યાં હતા, જેમાં સાસુ તેમજ વહુને સામાન્ય લક્ષણો દેખાતા તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યાં હતા. જેમાં બન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. તેનાથી જિલ્લા આરોગ્ય તંત્રએ તેઓને હોમ ક્વોરેન્ટાઈન કર્યા હતા.

પિલવાઈ ખાતે રહેતા 43 વર્ષીય મહિલાના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યાં હતા. જ્યાં મહિલાનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. મહિલાને હાલ વડનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવી હતી.