પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર, ૧૩ જૂન, ૨૦૨૫ ના રોજ અમદાવાદની હોસ્પિટલમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશને મળ્યા હતાં. (PMO via PTI Photo)

અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં એક મુસાફરનો ચમત્કારિત બચાવ થયો હતો. જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે. સીટ નંબર 11A પર બેઠેલા આ મુસાફરનો બચાવ થયો હતો. આ ભાગ્યશાળી મુસાફરને નજીવી ઇજા થઈ હતી અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક હોવાનું માનવામાં આવે છે. આ મુસાફરને શુક્રવાર, 13 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં મળ્યાં હતાં.

પોલીસે જણાવ્યું હતું કે રમેશ વિશ્વાસ કુમાર ઇમરજન્સી એક્ઝિટ પાસે બેઠા હતાં અને બહાર કૂદી પડવામાં સફળ રહ્યાં હતાં. વિશ્વાસ કુમારે જણાવ્યું હતું કે જ્યારે હું ઊભો થયો, ત્યારે મારી આસપાસ લાશો હતી. હું ડરી ગયો. હું ઊભો થયો અને દોડ્યો. મારી આસપાસ વિમાનના ટુકડા પડ્યા હતાં. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલમાં લઈ જવાયો.

તેનો ભાઈ અજય વિમાનમાં બીજી હરોળમાં બેઠો હતો અને તેને શોધવા માટે મદદ માંગી હતી. બ્રિટનમાં રહેતા વિશ્વાસકુમારના પરિવારના એક સભ્યએ નામ ન આપવાની શરતે રોઇટર્સને ફોન પર જણાવ્યું કે તેઓ બચી ગયા છે અને પરિવાર તેમના સંપર્કમાં છે, પરંતુ વધુ વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો.

મધ્ય ઇંગ્લેન્ડના લેસ્ટરમાં રહેતા વિશ્વાશકુમારના પિતરાઇ ભાઇ અજય વાલ્ગીએ બીબીસીને જણાવ્યું કે વિશ્વાશકુમારે ફોન પર વાત કરીને ખાતરી કરી કે તે ઠીક છે. “તેણે ફક્ત એટલું જ કહ્યું કે તે ઠીક છે, બીજું કંઈ નહીં. વિશ્વાસ કુમાર પરિણીત છે અને તેમને એક પુત્ર છે.

LEAVE A REPLY