વડાપ્રધાન મોદીએ ગુરુવારે શ્રી સિદ્ધગંગા મઠ મ્યુઝિયમનો પાયો નાખ્યા બાદ જનસભાને સંબોધિ હતી. પીએમ મોદીએ કહ્યું કે, આજે ઘણા વર્ષો બાદ અહીંયા આવવાની તક મળી છે, પણ શ્રી શ્રી શિવકુમાર સ્વાની ખોટ અનુભવાઈ રહી છે. વડાપ્રધાને કહ્યું કે, થોડા સપ્તાહ પહેલા સંસદમાં CAA પાસ થયું હતું, કોંગ્રેસ અને તેમના સાથી સંસદ વિરુદ્ધ બોલી રહ્યા છે. જેવી નફરત એ લોકો અમને કરે છે, તેવો જ સ્વર દેશની સંસદ વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. આ લોકો ભારતની સંસદ વિરુદ્ધ જ આંદોલન કરી રહ્યા છે, આવા લોકો પાકિસ્તાનથી આવેલા દલિત, પીડિત વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, પાકિસ્તાનનો જન્મ ધર્મના આધારે થયો હતો, દેશ ધર્મના આધારે વહેંચાયેલો હતો. ભાગલા વખતથી જ પાકિસ્તાનમાં બીજા ધર્મના લોકો સાથે અત્યાચાર શરૂ થઈ ગયો હતો, સમય સાથે પાકિસ્તાનમાં હિન્દુ-જૈન-શીખ-બૌદ્ધ પર ધર્મના આધારે અત્યાચાર વધતો ગયો છે. હજારો લોકોને ત્યાંથી પોતાનું ઘર છોડીને ભારત આવવું પડી રહ્યું છે. પાકિસ્તાને હિન્દુઓ પર અત્યાચાર કર્યો પણ કોંગ્રેસ પાકિસ્તાન વિરુદ્ધ નહીં બોલે. પીએમ મોદી આજથી બે દિવસ કર્ણાટકનો પ્રવાસ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાનો ત્રીજો હિસ્સો પણ જાહેર કરશે.
ડિસેમ્બર 2019થી માર્ચ 2020 માટે આ યોજનાથી 6 કરોડ લાભાર્થીઓને ફાયદો મળશે. પહેલા બે હિસ્સામાં દેશભરના એક કરોડ કરતા વધારે ખેડૂતો માટે લગભગ 2 હજાર કરોડ રૂપિયા જાહેર કરાયા હતા. આ યોજના હેઠળ ચાર મહિનામાં પ્રત્યેક લાભાર્થીઓને 2000 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. વડાપ્રધાન 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લાભાર્થીઓને તેનું પ્રમાણપત્ર સોંપશે. પીએમના તુમકુરમાં પહોંચતા પહેલા જ ઘણા ખેડૂતોની અટકાયત કરાઈ છે. આ ખેડૂતો વડાપ્રધાન વિરુદ્ધ પ્રદર્શન કરવા અને કાળા ઝંડા બતાવવાની તૈયારીમાં હતા.