બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે રવિવાર, 7 ડિસેમ્બરે ભવ્ય પ્રમુખ વરણી અમૃત મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવો હાજર રહેશે.
સાંજે 5-30 થી 8-30 દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં 75 ડેકોરેટિવ હોડીઓ પર પ્રમુખ સ્વામીજીના જીવનની ઝાંખી અને 75 સૂત્રો રજૂ કરાશે. તેમાં 100થી વધુ સંતો અને 1000થી વધુ સ્વયંસેવકો ભાગ લેશે. હાલમાં આ માટે સંસ્થાના સંતો, હરિભક્તો અને સ્વયંસેવકો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.
સાબરમતી નદી પરના અટલ બ્રિજ નજીક પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ નદીમાં તરતાં મુકવામાં આવશે. આ સમયના દૃશ્યો નિહાળવાનો લ્હાવો અલોકિક અને જીવંતપરિયંત બની રહેશે.
BAPS સંસ્થાના અક્ષરવત્સલ સ્વામીએ જાણાવ્યું કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના માનવ સેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ આપવામાં આવશે. આ પ્રસંગે BAPSના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 45 હજારથી વધુ અગ્રણીઓને આમંત્રણ અપાયું છે.
આજે વિશ્વના ખૂણેખૂણે જે નામ ગુંજી રહ્યું છે તે ‘પ્રમુખસ્વામી મહારાજ’ નામની ભેટ 1950માં વિશ્વને આંબલીવાળી પોળમાંથી પ્રાપ્ત થઈ હતી. BAPSના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત 2006 (મે 21, 1950)ના જેઠ સુદ 4ના દિવસે રવિવારે આંબલીવાળી પોળમાં આવેલા નાના મંદિરમાં સાંજે 5 વાગ્યે પોતાની સાધુતા અને પવિત્ર પ્રતિભાથી સત્સંગીઓના પ્રીતિપાત્ર, સંતોના આદરપાત્ર અને ગુરુશાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંતશાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતાં.
દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો માટે જીવંત પ્રસારણનું પણ આયોજન કરાયું છે. આસ્થા ભજન ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠાં માણી શકાશે.
મહોત્સવમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રજૂ કરાશે. તે માટે 20 બાય 20ના 75 ફ્લોટ્સ (બોટ) નદીમાં તરતા મૂકવામાં આવશે. તે તરાપામાં પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને ગુણોને દર્શાવતાં અનેક અલંકૃત બોટ નદીમાં તા. 6,7 અને 8 દરમિયાન દૃશ્યમાન થશે.
અમૃતમહોત્સવને કારણે સાબરમતી રિવરફ્રન્ટ પર ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવનાર હોવાથી રિવરફ્રન્ટનો કેટલાંક વિસ્તારો 7 ડિસેમ્બરે જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.












