![Rajnath Singh with Li Shangfu, Zhang Ming and Sergei Shoigu prior to attending the SCO Defence Ministers' Meeting Relations with China unusual as it violates border agreements: S Jaishankar](https://www.garavigujarat.biz/wp-content/uploads/2023/04/Jaishankar-696x468.jpg)
સરહદ પરની સ્થિતિ સ્થિર છે તેવા ચીનના સંરક્ષણ મંત્રાલયના નિવેદનના એક દિવસ પછી ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બેઇજિંગને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું હતું. જયશંકરે જણાવ્યું હતું કે પાડોશી દેશ દ્વારા સરહદ વ્યવસ્થાપન કરારોના ઉલ્લંઘનને કારણે ચીન સાથે ભારતના સંબંધો ‘અસામાન્ય’ છે.
ડોમિનિકન રિપબ્લિકનની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન સાન્ટો ડોમિન્ગોમાં એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત એ સુનિશ્ચિત કરવા માંગે છે કે કોઇપણ વિશેષાધિકાર માંગ્યા વગર તમામ દેશો સાથે તેના સંબંધોમાં પ્રગતિ થાય. ભલે તે યુએસ હોય, યુરોપ હોય, રશિયા હોય કે જાપાન હોય, અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ તમામ સંબંધો વિશેષાધિકાર વગર આગળ વધે. ચીન સીમા વિવાદ અને હાલમાં અમારા સંબંધોની અસામાન્ય પ્રકૃતિને કારણે કંઈક અંશે અલગ શ્રેણીમાં આવે છે. તેનું કારણ તેમના દ્વારા સરહદ વ્યવસ્થાપન અંગેના કરારોનું ઉલ્લંઘન છે.
ડોમિનિકન રિપબ્લિક ખાતેના એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે સમગ્ર પ્રદેશમાં કનેક્ટિવિટી, સંપર્કો અને સહકારના સંદર્ભમાં દ્વિપક્ષીય સંબંધોમાં નાટ્યાત્મક પ્રગતિ કરી છે. જો કે સરહદ પારના આતંકવાદને કારણે પાકિસ્તાન આમાં અપવાદ છે.
ગુરુવારે SCO બેઠક દરમિયાન ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના ચીની સમકક્ષ જનરલ લી શાંગફુ સાથે 45 મિનિટની બેઠક યોજી હતી. ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ચીન પૂર્વ લદ્દાખમાં તંગદિલી ઓછી ન કરે અને તેના સૈનિકોને પરત ન બોલાવી લે ત્યાં સુધી એકંદર દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ સુધારો થશે નહીં.
મીટિંગ પછી બહાર પાડવામાં આવેલ એક નિવેદન મુજબ સંરરક્ષા પ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોની પ્રગતિ સરહદો પર શાંતિ અને સુલેહ પર આધારિત છે. LAC પરના તમામ મુદ્દાઓને ઉકેલ હાલના દ્વિપક્ષીય કરારો અને પ્રતિબદ્ધતાઓ મુજબ લાવવાની જરૂર છે. હાલની સમજૂતીઓના ભંગને કારણે દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર પાયાનું ધોવાણ થયું છે અને સરહદ પછી સૈનિકો પરત બોલાવી લેવામાં આવ્યા પછી તંગદિલીમાં ઘટાડો થવો જોઇએ.
સીમા વિવાદ વચ્ચે ભારતે આકરી પ્રતિક્રિયા આપી હોવા છતાં ચીનના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે બંને દેશોએ સીમા વિવાદને યોગ્ય સ્થાને મૂકીને સંબંધોને ફરી સામાન્ય બનાવવા જોઇએ.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)