સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના રિટ્ઝ કાર્લટનમાં 11 મે 2022ના રોજ મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા યોજાયેલી ઇન્ટરફેઇથ કોન્ફરન્સમાં 35 દેશોના 90 પ્રતિષ્ઠિત ધાર્મિક નેતાઓની હાજરીમાં વિશેષ આમંત્રિત કરાયેલા BAPSના વરિષ્ઠ સંત પૂ. સ્વામી બ્રહ્મવિહારી દાસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે સંબોધન કર્યું હતું.

સ્વામી વિવેકાનંદે શિકાગો, યુએસમાં વિશ્વ ધર્મ સંસદમાં ભારત અને હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યાના 125 વર્ષ કરતા વધુ સમય પછી, બીજી ઐતિહાસિક પ્રથમ ઘટનામાં મક્કા સ્થિત ઇસ્લામિક એનજીઓ મુસ્લિમ વર્લ્ડ લીગે સ્વામી બ્રહ્મવિહારી દાસ અને સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજને રિયાધ ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા આમંત્રણ આપ્યું હતું.

સ્વામી બ્રહ્મવિહારીદાસે ‘હ્યુમન ડિગ્નિટી – ડિવાઈન ઈક્વાલિટી બિટ્વીન ક્રિએશન્સ એન્ડ ધ ડેપ્થ ઓફ હ્યુમન કોમનાલિટી’ નામની પ્રથમ પેનલને સંબોધિત કરી હતી. શાંતિ અને સુમેળ માટે વૈદિક પ્રાર્થના પછી, સ્વામી બ્રહ્મવિહારીદાસે પ્રમુખ સ્વામી મહારાજના યુએન મિલેનિયમ સમિટના શબ્દો યાદ કર્યા હતા જેમાં સ્વામીશ્રીએ નેતાઓને ત્રણ સંવાદો કરવા કહ્યું હતું જેથી વધુ સુમેળ વધે. તેમણે પોતાના ગુરૂ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને યાદ કર્યા હતા.

‘ધાર્મિક અનુયાયીઓ વચ્ચે સામાન્ય મૂલ્યો પર મંચ’ પર કેન્દ્રિત પ્રવચનની MWL ના સેક્રેટરી જનરલ, HE શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ ઈસા અને વૈશ્વિક નેતાઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી.

અન્ય પ્રતિનિધિઓમાં ધાર્મિક સ્વતંત્રતા માટે યુનાઈટેડ સ્ટેટ્સના રાજદૂતો, રોમન કેથોલિક, કોપ્ટિક અને ઈસ્ટર્ન ઓર્થોડોક્સ ચર્ચના નેતાઓ, યુરોપ અને ઉત્તર અમેરિકાના મુખ્ય રબ્બીસ, દક્ષિણ એશિયાના બૌદ્ધ નેતાઓ અને ઇજિપ્તના મુફ્તી સહિત વિશ્વભરના ઈસ્લામિક નેતાઓનો સમાવેશ થયો હતો.

ઈવેન્ટની અધ્યક્ષતા મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા દ્વારા કરવામાં આવી હતી.

આંતરધર્મ સંવાદિતાના વૈશ્વિક નેતા અને 2000માં પ્રમુખ સ્વામી મહારાજની યુએનની મુલાકાતનું આયોજન કરનાર પૂ. બાવા જૈને જણાવ્યું હતું કે “આપણા સહિયારા મૂલ્યોની આટલી સ્પષ્ટ અભિવ્યક્તિ અને આ મંચની ઐતિહાસિક પ્રકૃતિ અને સ્થળનું સન્માન કરે છે. આ પહેલીવાર છે જ્યારે હિંદુ ધર્મના સ્વામીઓને રાજ્યમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.”