વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીથી અમદાવાદ નજીક સરદારધામ ભવનનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને છાત્રાલયની સુવિધા આપવામાં આવશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને રાહત દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સુવિધા મળશે.
આ ઉપરાંત વડાપ્રધાને સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનો ઇ-શિલાન્યાસ પણ કર્યો હતા. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ સૂત્રોના જણાવ્યા મુજબ, સરદારધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકોના સર્જન માટે કાર્યરત રહેશે. અહીં 11,672 ચોરસફૂટ વિસ્તારમાં બિલ્ડિંગનો પ્રથમ તબક્કો અંદાજે રૂ. 200 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. અહીં 1600 વિદ્યાર્થી માટે હોસ્ટેલ, એક હજાર કમ્પ્યુટર સિસ્ટમ્સ, ઇ-લાઇબ્રેરી, હાઇટેક ક્લાસરૂમ, જીમ્નેશિયમ, ઓડિટોરિયમ, 50 લક્ઝરી રૂમ સાથે ગેસ્ટ હાઉસ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પરિસરમાં એક હજાર બેઠકની લાઇબ્રેરી, 450 બેઠકોનું ઓડિટોરીયમ, એક હજાર લોકોની સુવિધા માટે બે મલ્ટી-પર્પઝ હોલ, ઇન્ડોર ગેમ્સ સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવશે. આ પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઊચી કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.