(Photo by STR/AFP via Getty Images)

એક સમયના બોલીવૂડનાં જાણીતા કોરિયોગ્રાફર સ્વ. સરોજ ખાનની પુત્રી સુકન્યાએ નિર્માતા ભૂષણકુમારને માતાની બાયોપિક માટે હક્ક આપ્યા છે. આ ફિલ્મના દિગ્દર્શક વિશે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે સુકન્યાએ નિર્માતા ભૂષણકુમાર સમક્ષ પોતાની એક ઇચ્છા વ્યક્ત કરી છે.

તેણે કહ્યું છે કે, માધુરી અને મારી સ્વર્ગીય માતાના સંબંધો બહુ સારા હતા. તેથી મને ઇચ્છા છે કે, માધુરી દીક્ષિતને પડદા પર માતાની કહાની નેરેટ કરવાની જવાબદારી આપવામાં આવે. તેમની વચ્ચે એક ખાસ સંબંધ હતો. ઉપરાંત આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલા અમે સ્ક્રિપ્ટ પર એક નજર નાખવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છે કે ફિલ્મની વાર્તા વાસ્તવિક હોય. સરોજ ખાનની પુત્રી સુકન્યાએ જણાવ્યું હતું કે, ભૂષણકુમારે મારો સંપર્ક મારી માતાની બાયોપિક માટે કર્યો હતો. માતાના નિધનના છ મહિના પછી અમે આ ચર્ચા શરૂ કરી હતી. મારા ભાઇ રાજુ ખાનને લાગ્યું હતું કે, ભૂષણકુમાર એક સારા નિર્માતા હોવાની સાથેસાથે ફિલ્મો ઝડપથી બનાવવા માટે જાણીતા છે. તેથી મારા ભાઇએ આ જવાબદારી તેમને આપી છે. અમારી ઇચ્છા છે કે અમારા માતાની બાયોપિક ઝડપથી સિનેમાના સ્ક્રીન પર જોવા મળે.