શિયાળાની મધ્યમાં જ સૌરાષ્ટ્રના મોટી સંખ્યામાં ડેમમાં પાણી ખૂટી રહ્યું છે. આ વર્ષે ચોમાસામાં સારા વરસાદથી સૌરાષ્ટ્રમાં શિયાળુ પાક -પાણીની સ્થિતિ સારી છે પરંતુ ઠંડીની સીઝનમાં જ સૌરાષ્ટ્રનાં ડેમોમાં 25 ટકા પાણીનો જથ્થો ખાલી થઈ ગયો છે જયારે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાનાં જળાશયોમાં તો 33 ટકા જ પાણી જ ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રમાં ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિથી નુકસાન ગયા પછી ગવે શિયાળુ પાક પર ખેડૂતોની આશા છે પરંતુ તમામ જિલ્લામાં ડેમોમાં પુરતો પાણીનો જથ્થો નથી. સૌરાષ્ટ્રનાં 141 મોટા ડેમોમાં હાલ 75 ટકા જીવંત જથ્થો છે. પોરબંદર જિલ્લામાં ડેમોમાં માત્ર 46 ટકા જ અને મોરબી પંથકમાં પણ સંતોષકારક સ્થિતિ નથી હાલ 40 ટકા જેટલો જથ્થો ખાલી થઈ ગયો છે. રાજકોટ જિલ્લાનાં 25 મોટા ડેમમાં 82 ટકા પાણી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળામાં જ પાણીની તંગી ઊભી થઈ રહી છે, ડેમોમાં માત્ર 53 ટકા જ પાણી છે હજુ શિયાળાનાં બે-ત્રણ મહિના અને આખો ઉનાળો બાકી છે. જામનગરમાં 76 ટકા અને જૂનાગઢ જિ.નાં ડેમોમાં 81 ટકા પાણી છે. ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ પડતા આ જિલ્લાનાં ડેમોમાં સૌથી વધુ 97 ટકા પાણી છે. સૌરાષ્ટ્રમાં 20 જેટલા ડેમોમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમોમાં પીવા માટે અનામત રાખ્યા બાદ સિંચાઈ માટે અપાશે.