
પશ્ચિમ એશિયામાં હવાઇ યુદ્ધ વધુ ઉગ્ર બનતા સરકારે જણાવ્યું હતું કે ગલ્ફ દેશોમાં આશરે એક કરોડ ભારતીયો રહે છે અને નોકરી કરે છે તથા તેમની સુરક્ષા અને સુખાકારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સરકારે ઊર્જા પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા અંગે પણ ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે તેનાથી ભારતીય અર્થતંત્ર માટે ગંભીર પરિણામો આવી શકે છે.
અમેરિકા-ઇઝરાયેલના ઇરાન પરના હવાઇ હુમલા અને તે પછી તહેરાનના વળતાં હુમલા પછીના બીજા નિવેદનમાં વિદેશ મંત્રાલયે દણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે અને તે બીજા દેશોમાં પણ ફેલાયો છે. સામાન્ય જનજીવન અને આર્થિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ છે તથા વિનાશ અને મૃત્યુમાં વધારો થયો છે. નજીકના પાડોશી તરીકે આ ગતિવિધિ ભારત માટે ખૂબ જ ચિંતા પેદા કરે છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આપણો વેપાર અને ઉર્જા સપ્લાય પણ આ પ્રદેશ સાથે જોડાયેલો છે. તેમાં કોઈપણ મોટા વિક્ષેપથી ભારતીય અર્થતંત્ર માટે ગંભીર પરિણામો આવે છે. ભારત વેપારી જહાજો પરના હુમલાઓનો પણ સખત વિરોધ કરે છે.
જોકે વિદેશ મંત્રાલયે યુએસ-ઇઝરાયલ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાનો ઉલ્લેખ કરવાનો ટાળ્યું હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક દિવસોમાં થયેલા હુમલાઓમાં કેટલાંક ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અથવા ગુમ થયા છે. આ પૃષ્ઠભૂમિમાં ભારત સંવાદ અને રાજદ્વારી માધ્યમના ઉપયોગની ફરી હાકલ કરે છે. અમે સંઘર્ષના વહેલા અંતની તરફેણમાં અમારો અવાજ ઉઠાવીએ છીએ. પહેલાથી જ ઘણા લોકોના જીવ ગયા છે અને અમે તે સંદર્ભમાં અમારો શોક વ્યક્ત કરીએ છીએ.













