ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાને પગલે રાજ્ય સરકારે સોમવારે મહત્ત્વના સાત પગલાં લીધા હતા. મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠક યોજવામાં આવી હતી.

સરકારના નિર્ણય મુજબ રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન કરનારા ખાનગી ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનનો ૬૦ ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્ર માટે આપવાના રહેશે. માત્ર ૪૦ ટકા ઉત્પાદન સપ્લાય તેઓ ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લઇ શકશે.

સરકારે આઠ મહાનગરોમાં પ૦૦-પ૦૦ બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તેમજ તેની તબીબી કામગીરીના સંપૂર્ણ દેખરેખ માટે માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર માટે ૮ IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે.

આ ઉપરાંત સંબંધિત જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર કોવિડ હેલ્થ સેન્ટર, કોવિડ કેર સેન્ટરની મંજુરી આપી શકશે.

રાજ્યમાં ખાનગી નર્સિંગ હોમ, ક્લિનિક્સ ICU કે વેન્ટીલેટરની સુવિધા વગર કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે. આવા કોવિડ હેલ્થકેર સેન્ટર માટે પ્રતિદિન વધુમાં વધુ રૂ.2 હજાર અને કોવિડ કેર સેન્ટર માટે પ્રતિદિન મહત્તમ ૧પ૦૦ રૂપિયા ચાર્જ લઇ શકાશે. આ ચાર્જમાં રેમડેસિવર ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થતો નથી એટલે કે આવા ઇન્જેકશનનો ચાર્જ અલગથી લેવાનો રહેશે.

જોકે કોવિડ-19ની સારવારમાં મહત્વના રેમડિસિવર ઇન્જેક્શનની અછતના અહેવાલ વચ્ચે કોર કમિટિએ તેના સપ્લાય વિશે મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ રાજ્યમાં સોલા સિવિલ હોસ્પિટલ, એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ, ગુજરાત કેન્સર સોસાયટીની હોસ્પિટલ તેમજ એલ.જી. અને નગરી હોસ્પિટલ અમદાવાદ આ બધી જ હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતો માટે રેમડિસિવિર ઇન્જેક્શન આગામી ત્રણથી પાંચ દિવસમાં નહિં નફો નહિ નુકશાનના ધોરણે સપ્લાય કરવામાં આવશે.