FILE PHOTO: જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્જો આબે. REUTERS/Jorge Silva/File Photo

જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર શુક્રવાર, 8 જુલાઈએ નારા પ્રાંતમાં એક ચૂંટણીસભા દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આબેને બે ગોળી વાગી હતી અને તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ગોળી વાગતા જ તેઓ ઢળી પડ્યા હતા અને તેમના શરીરમાંથી લોહી વહેવાનું શરુ થઈ ગયું હતું. આબેનું કોશાહીરા શહેરની હોસ્પિટમાં અવસાન થયું હતું. આબેની ઉંમર 67 વર્ષ હતી. એક 42 વર્ષની વ્યક્તિએ આબે પર ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવે છે. હુમલાખોર આબેની નીતિઓથી નારાજ હોવાનું માનવામાં આવે છે.

શિંજો આબેને તાત્કાલિક એર એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોરની ધરપકડ કરાઈ હતી.ગોળી વાગ્યા પછી શિંજો આબેને હૃદયનો હુમલો આવ્યો હોવાની પણ વિગતો વિવિધ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું.

આબેને મોત અંગે વિશ્વભરના નેતાઓએ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારા પ્રિય મિત્ર શિન્ઝો આબેના દુઃખદ અવસાનથી મને આઘાત અને આંચકો લાગ્યો છે. તેઓ વૈશ્વિક નેતા, અસાધારણ લીડર અને ઉત્કૃષ્ટ એડમિનિસ્ટ્રેટર હતા. તેમણે જાપાનને વધુ સારો દેશ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ભારતના વડાપ્રધાન મોદીને શિન્ઝો આબે સાથે ખાસ સંબંધો હતા.. તેમની ગુજરાત અને બનારસ યાત્રા ચર્ચાસ્પદ રહી હતી. ગયા વર્ષે ભારત દ્વારા આબેનું પદ્મ ભૂષણથી સન્માન કરાયું હતું. ભારતને બુલેટ ટ્રેનની ભેટ આપવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.

હુમલાખોર શિંજો આબે પર ગોળીઓ ચલાવ્યા બાદ ત્યાં જ ઉભો રહ્યો હતો, પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. હુમલાખોર પાસેથી પોલીસે બંદૂકનો કબજે કરી હતી. આ 42 વર્ષનો શખ્સ કોણ હતો તે અંગે હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી. હુમલો કરવા પાછળનું કારણ શું હતું તે પણ સામે આવ્યું નથી.

67 વર્ષના શિંજો આબે જાપાનની લિબરલ ડેમોક્રિટિક પાર્ટીના નેતા છે. તેઓ 2006-2007 અને 2012થી 2020 સુધી પાર્ટીના વરિષ્ઠ પદ પર પણ રહી ચૂક્યા છે. 21 સપ્ટેમ્બર 1954માં જન્મેલા શિંજો આબે 26 ડિસેમ્બર 2012થી 16 સપ્ટેમ્બર 2020 દરમિયાન દેશના વડાપ્રધાન પદ પર રહ્યા હતા.