how many diseases moringa can cure

ડો. યુવા અય્‍યર, આયુર્વેદિક ફિઝિ‌શિયન

સરગવાનું ઝાડ નાના ગોળાકાર લીલા પાન
ધરાવતું દેખાવમાં ખૂબ સુંદર હોય છે. ખૂબ જ સરળતાથી ઉગતું સરગવાનું ઝાડ, તેની શીંગો બદલ આકર્ષણ ધરાવે છે. પરંપરાગત રીતે સરગવાની શીંગને શાક તરીકે, સૂપ-સાંભર જેવી વાનગીઓમાં ઉમેરીને ખાવામાં આવે છે. સરગવાની શીંગોનો સ્વાદ થોડો તૂરો અને મીઠો હોય છે. શીંગ ઝાડ પરથી ઉતારી અને તરત ઉપયોગમાં લેવામાં આવે તો તે ખૂબ જ રસાળ, સ્વાદિષ્ટ અને ચાવવામાં કૂણી હોય છે. મોટાભાગે શાકમાર્કેટમાંથી ખરીદવામાં આવતી શીંગો, અગાઉથી ઉતારીને રાખેલી હોઈ તેમાં રસ ઓછો હોય છે, કડક થઈ ગયેલી હોય છે. થોડા ગરમ પાણીમાં શીંગોને પલાળી રાખવાથી, શીંગો નરમ થઇ જતી હોય છે.

આયુર્વેદમાં સરગવાના ઝાડના ઔષધિય ગુણો વિશે વર્ણન કરવામાં આવ્યું છે. સરગવાને સંસ્કૃતમાં શિગ્રુ કહેવાય છે. કોઈ ખાસ વટી, ગુટી કે ચૂર્ણનાં પ્રયોગમાં શિગ્રુનું વર્ણન વિશિષ્ટ રીતે કરાયું નથી. શિગ્રુનાં પાન, ફુલ, સરગવાની શીંગો, સરગવાની શીંગમાં રહેલાં બીજનો વિવિધ રોગમાં ઔષધિય ઉપયોગ શી રીતે કરવો તે જણાવાયું છે.

– સરગવાની શીંગો – સ્વાદમાં તુરી – મીઠી હોય છે. શીંગો પાચકાગ્નિ વધારવાનું કામ કરે છે. સરગવાના દિપન- પાચન,, સારક જેવા ગુણોને કારણે પાચન શક્તિ ઓછી થઇ ગઈ હોય, વાયુની તક્લીફ થતી હોય, ફેફસામાં કફ જામી ગયો હોય, ગળામાં કફ લેપાયેલો રહેતો હોય, ગળામાં સોજો અને દુખાવો થતો હોય તેવા રોગમાં સરગવાની શીંગોનો ઉપયોગ ફાયદો કરે છે.

• સરગવાનો સૂપ – તાજી, માવાદાર સરગવાની શીંગો બે- ત્રણ લેવી. સ્વચ્છ પાણીથી સાફ કરી, તેનાં નાના ૨-૩ ટુકડા કરવા. ૨૫૦–૩૦૦ મીલી પાણી સાથે શીંગોને ઢાંકીને ઉકાળવી. પાણી ઠંડુ થયા બાદ શીંગને હાથથી મસળી, પાણીમાંથી શીંગના રેસા જુદા કરવા. ખૂબ પાતળી ચારણીથી ગાળવાથી શીંગનો માવો ગરણીમાં રહી જશે તેથી ગાળવું નહીં માત્ર શીંગના રેસાને હાથથી અલગ કરી લેવા. આ મુજબ ઉકાળીને તૈયાર કરેલા પ્રવાહીમાં ૧/૨ ટીસ્પૂન તલના તેલ અથવા ગાયના ઘીને ગરમ કરી હીંગ, મરીનો ભૂક્કો, મીઠા લીમડાના પાનથી વધાર કરવો. થોડી માત્રામાં સિંધવ મીઠું ઉમેરવું. આ મુજબ બનાવેલો સરગવાનો સૂપ નવરોકા તાપમાનનો પીવાના ઉપયોગમાં લેવો.

સરગવાની શીંગો પાચક, વાયુ-નાશક ગુણો ધરાવે છે. આથી અપચો, ભૂખ ન લાગતી હોય, કફ જમા થઇ ગયો હોય, ફ્લુ વાયરલ ફિવર, સાંધાઓમાં દુખાવો થતો હોય, કમર દુખતી હોય તેવા રોગમાં હલકા ખોરાક જેમકે ફૂલકા રોટલી, ગળેલો ભાત, દુધી, કોળા, ગલકા, તુરીયા, પરવર જેવા શાક સાથે જમવામાં પ્રયોજી શકાય. રોગીની પાચન શક્તિ ખૂબ ઓછી હોય, તેઓ સૂપને સવારના નાસ્તાને બદલે પ્રયોજી શકે છે. આમ કરવાથી પાચન સુધરશે, ભોજનમાં રૂચિ થશે. સરગવામાં રહેલું પોપણ કાર્બોહાઈડ્રેટ આધારિત નથી. આથી ડાયાબિટીસનો રોગીઓ, વજન ઓછુ કરવા માંગતા વ્યક્તિઓ આ સૂપનો નિયમિત પ્રયોગ કરી શકે છે.

• સરગવાના પાન – આયુર્વેદ સરગવાના પાનનાં રસના ઘણા ઔષધિય પ્રયોગો જણાવે છે.
*સરગવાના પાનને સાફ કરી ચાવીને ખાવાથી જીભમાં ચાંદા પડ્યા હોય, મ્હોંમાં ચાંદા પડ્યા હોય તેવા દર્દીઓને ફાયદો થાય છે.
• સરગવાના પાનનાં રસમાં મરીનો પાવડર ભેળવી માથા કપાળ પર ચોપડવાથી માઇગ્રેન, કફના ભરાવાથી થતા માથાના દુખાવામાં રાહત થાય છે.
• સરગવાના પાનનાં રસમાં મધ ભેળવી પીધા બાદ, તેનાં ઉપર નારિયેળનું દુધ પીવું. આ મુજબ દિવસમાં બે થી ત્રાણ વખત પીવું. આ પ્રયોગથી ઝાડા, ડિસેન્ટ્રી, કોલાઈટીસ આંતરડાના ચાંદા જેવા રોગમાં ઝડપથી સુધારો થાય છે.
• પેશાબ રોકાઈ ગયો હોય તેવા સંજોગોમાં સરગવાના પાન સાથે ગાજરનો રસ ભેળવી પીવાથી ફાયદો થાય છે.
• સરગવાના પાનનો રસ આંતરડામાં રહેલાં કૃમી દૂર કરે છે. તે ઉપરાંત ચામડીના વિવિધ સંક્રમણથી થતાં રોગ, ગૂમડાં, ફોડકી, ચામડી જાડી થઇ સોજો થઇ જવો જેવી તક્લીફમાં સ્વચ્છતાનું ધ્યાન રાખી કાઢેલા સરગવાના પાનના રસને ચોપડવાથી રાહત થાય છે.
• સરગવાના પાનનો રસ બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે. આમ થવા પાછળનું મુખ્ય કારણ સરગવાના પાનનો રસ મનનો અજંપો, એન્ઝાયટી મટાડવામાં અસરકારક છે.
• સરગવાના મૂળની છાલ – સરગવાની છાલ વાટીને ચામડી પર બાંધવાથી ત્વચા લાલ થાય છે. ત્વચાની રક્તવાહિનીઓ ફુલે છે. ચામડીનો સોજો દૂર થાય છે. આથી સરગવાની છાલની પોલટીસ સોજો ઉતારવામાં ઉપયોગી છે. *છાલના ચૂર્ણને શુદ્ધ કરી યોગ્ય માત્રામાં આપવાથી આંતરડામાં પાચન માટે આવશ્યક અંતઃસ્ત્રાવોની ક્રિયા સુધરે છે. પરિણામે પાચન, શોષણ અને પોષણની ક્રિયા યોગ્ય રીતે થાય છે.
• સરગવાનું પોષણ મૂલ્ય: આધુનિક વિજ્ઞાનમાં મોરિંગાએ તેની પોષણ ક્ષમતાની વિશિષ્ટતાને કારણે ખૂબ ધ્યાન આકર્ષિત કર્યું છે. હાલમાં થયેલા સંશોધનો જણાવે છે કે મોરિંગાનાં પાન પ્રોટીન તત્વથી ભરપૂર છે. 100 gm પાનમાં 9.89 જેટલું પ્રોટીન મળે છે. વિટામીન A ની માત્ર 100 gms તાજા પાનમાં 756410 જેટલી છે. જે આખા દિવસની વિટામીન A ની 25% જરૂરિયાત પૂરી કરી શકે. આ ઉપરાંત વિટામીન C, વિટામીન B કોમ્પ્લેક્સનું પ્રમાણ પણ ઘણું છે. એટલું જ નહી સરગવાના પાન, શીંગોમાંથી કેલ્શ્યમ, આર્યન, મેંગેનિઝ, કોપર, સેલેનિયમ જેવા પોષકતત્વો ભરપૂર માત્રામાં મળે છે.

પોષક્તત્વોની લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને સરગવાનો ખાવામાં ઉપયોગ કરવાથી ઇમ્યુનીટીની જાળવણી, ચામડીનું પોષણ, રક્તશુદ્ધિ, સાંધાના દુઃખાવામાં રાહત, પાચનમાં મદદ જેવા આરોગ્યપ્રદ લાભ મળે છે.

LEAVE A REPLY

five × four =