વુલ્વરહેમ્પ્ટનના એટીંગ્સહોલના ટેંગમેર રોડ પર રહેતી સુખજીત ઉપ્પલ નામની 40 વર્ષીય મહિલાની 19 સપ્ટેમ્બર, રવિવારે રાત્રે 8 વાગ્યે તેના જ ઘરમાં વારંવાર છરીના ઘા મારી હત્યા કરવાના આરોપ બદલ 50 વર્ષીય જયસિંહને વુલ્વરહેમ્પ્ટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરી વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટે તેના પર હત્યાનો આરોપ મૂક્યો હતો. 25 ઓક્ટોબર, 2021ના ​​રોજ અરજીની સુનાવણી નક્કી કરવામાં આવી છે.

ગંભીર ઇજા પામેલી સુખજીતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હત્યા પાછળ ઘરેલુ તકરાર જવાબદાર હોવાનું મનાય છે. ઇમરજન્સી સેવાઓને રાત્રે 8:10 વાગ્યે ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પરંતુ મેડિક્સના પ્રયત્નો છતાં, શ્રીમતી ઉપ્પલને મૃત જાહેર કરાયા હતા.

સુખજીતના પરિવારે કહ્યું: “અમારી સુંદર, દયાળુ બહેન અમને ક્યારેય મળી શકશે નહિં. તે સૌથી વધારે દરકાર રાખતી, પ્રેમાળ લોકોમાંની એક હતી. તેણીએ ક્યારેય પણ દ્વેષ રાખ્યો ન હતો અને દરેકને પ્રેમ કરતી હતી. તેના બાળકો, માતા અને ભાઈ અને બહેન પાસેથી તેને છીનવી લેવામાં આવી છે. આ તેણીનો જવાનો સમય નથી.’’

કુરિયર સની સિંહે કહ્યું હતું કે “હું કામ પર હતો, પણ મારી પત્ની ઘરે હતી. તે આ બધાથી ખૂબ અસ્વસ્થ થઇ જતાં તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવી પડી હતી. અમે તેમને જાણીએ છીએ અને તે દરેક લોકો માટે ખૂબ જ દુ:ખદ છે.”

બીજા પાડોશીએ કહ્યું હતું કે “હું તે વિશે વાત કરવા માંગતો નથી. આ મારા માટે ખૂબ જ અસ્વસ્થ સમાચાર છે. હું તેમને ઓળખું છું અને અમે બધા જ આઘાતમાં છીએ.”

વેસ્ટ મિડલેન્ડ પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’આ મુશ્કેલ સમયે સુખજીતના પરિવાર સાથે અમારી લાગણીઓ છે; સમજી શકાય છે કે તેઓ દિલથી તૂટી ગયા છે.”