અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ (ADAG), અનિલ અંબાણી અને ગ્રુપ કંપનીઓના રૂ.40,000 કરોડના કથિત બેન્કિંગ અને કોર્પોરેટ ફ્રોડની તપાસમાં ભેદી વિલંબ અંગે સખત નારાજગી વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટે ન્યાયી, ત્વરિત અને નિષ્પક્ષ તપાસ કરવાનો સીબીઆઇ અને ઇડીને બુધવારે આદેશ આપ્યો હતો.
સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ અનિલ અંબાણી વતી સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી હતી કે તેઓ કોર્ટની પૂર્વ મંજૂરી વગર દેશ છોડશે નહીં. અગાઉ જાહેર હિતની અરજી કરનારા અરજદાર અને ભૂતપૂર્વ અધિકારી ઇએએસ શર્માએ આશંકા વ્યક્ત કરી હતી કે અનિલ અંબાણી દેશમાંથી બહાર ભાગી જશે.
અંબાણી અને તેમના ગ્રુપની કંપનીઓ સામેની હાલની તપાસમાં પ્રગતિ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પાસેથે ચાર સપ્તાહમાં તાજો સ્ટેટસ રીપોર્ટ માંગ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ઇડી અને સીબીઆઇ બંનેએ ઘણો સમય લીધો છે અને તેથી બંને એજન્સીઓ ઝડપથી કામગીરી કરે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. સર્વોચ્ચ અદાલતે ADAG અને અન્ય સામેની તપાસને તાર્કિક નિષ્કર્ષ સુધી લઈ જવા માટે વરિષ્ઠ અધિકારીઓની એક એસઆઇટીની રચના કરવાની પણ તાકીદ કરી હતી.
સીબીઆઇના અભિગમની ઝાટકણી કાઢતાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે વિવિધ નાણા સંસ્થાઓની ફરિયાદો મળી હોવા છતાં એજન્સીએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની એક ફરિયાદને આધારે માત્ર એક એફઆઇઆર દાખલ કરી છે. સીબીઆઇનો આ અભિગમ કાયદા સાથે સુસંગત લાગતો નથી. દરેક બેંકની ફરિયાદ પર એક સ્વતંત્ર એફઆઈઆરની જરૂર છે. ખંડપીઠે તપાસના વ્યાપને વધારી બેન્ક અધિકારીઓની કથિત મિલીભગતની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
પીઆઈએલની સુનાવણી દરમિયાન એડવોકેટ પ્રશાંત ભૂષણે અન્ય હાઇ-પ્રોફાઇલ ડિફોલ્ટરોના દેશ છોડીને ભાગી જવાના કિસ્સાઓ ટાંકીને ADAGના ચેરમેનને દેશ છોડતા અટકાવવા કોર્ટને અનુરોધ કર્યો હતો.













