પિતાની સંપત્તિ પર પુત્રીના હકના મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે વસિયતનામું કર્યા વગર મૃત્યુ પામેલા હિન્દુ પુરુષની પુત્રીનો તેના પિતા દ્વારા સ્વયં અર્જિત કરાયેલી તથા તેના પિતાને ભાગની વહેંચણી દરમિયાન મળેલી સંપત્તિમાં હક ગણાશે અને સંપત્તિમાં હિસ્સાની વહેંચણીમાં તેને પરિવારના અન્ય સભ્યોની તુલનામાં અગ્રતા આપવાની રહેશે. હિન્દુ ઉત્તરાધિકાર કાયદા 1956 અંતર્ગત હિન્દુ મહિલા અને વિધવાના સંપત્તિના અધિકારો અંગેના મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધની એક અપીલમાં સુપ્રીમ કોર્ટે આ ચૂકાદો આપ્યો હતો.
જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર અને કૃષ્ણા મુરારીની બેન્ચે ચૂકાદામાં જણાવ્યું હતું કે વારસાઈ કર્યા વગર મૃત્યુ પામેલા હિન્દુ પુરુષની સંપત્તિની વહેંચણીમાં તેની સગી પુત્રીને તેના પિતાના ભાઈના પુત્રો કે પુત્રીઓની સરખામણીમાં સંપત્તિનો ભાગ આપવામાં પ્રાથમિકતા આપવાની રહેશે. કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારની વ્યવસ્થા હિન્દુ ઉત્તરાધિકાર કાયદો 1956 લાગુ થયાં પહેલાની સંપત્તિની વહેંચણી પર પણ લાગુ થશે.
51 પાનાના ચૂકાદામાં જણાવાયું હતું કે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો પિતાની સંપત્તિમાં પુત્રીઓને પણ સમાન અધિકાર આપે છે. કોર્ટે જણાવ્યું હતું કે મૃતક દ્વારા સ્વયં ઉપાર્જિત કરેલી અથવા ભાગમાં મળેલી સંપત્તિમાં વિધવા અથવા દીકરીના હકને માત્ર પરંપરાગત હિન્દુ કાયદામાં જ નહીં પરંતુ વિવિધ ન્યાયિક ચૂકાદાઓમાં પણ માન્ય રખાયો છે. અગાઉ પણ અનેક ચૂકાદામાં આ બાબત સ્પષ્ટ થઈ છે કે જો કોઈ વ્યક્તિને પુત્ર ના હોય તો તેની તમામ સંપત્તિ તેના ભાઈના પુત્રોની બદલે તેની સગી પુત્રીને આપવામાં આવશે. આ વ્યવસ્થા મૃતક વ્યક્તિની પોતાની સંપત્તિની સાથે જ તેને કૌટુંબિક વારસાની વહેંચણીમાં મળેલી સંપત્તિ પર પણ લાગુ થાય છે.
જો કોઈ મહિલા વસિયત કર્યા વગર નિઃસંતાન મૃત્યુ પામે તો તેને તેના પિતા અથવા માતા તરફથી વારસામાં મળેલી સંપત્તિ તેના પિતાના વારસદારોને મળશે, જ્યારે તેના પતિ તરફથી કે સસરા તરફથી મળેલી સંપત્તિ તેના પતિના વારસદારોને મળશે તેમ હિન્દુ વારસ ધારા, 1956ની કલમ 15ની જોગવાઈમાં જણાવાયું છે. હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની કલમ 15(2)માં સુધારો કરવાનો મુખ્ય હેતુ વારસાઈ વગર નિઃસંતાન મૃત્યુ પામેલી હિન્દુ મહિલાને ઉત્તરાધિકારમાં મળેલી સંપત્તિ તેના મૂળ સ્રોતને પાછી મળે તે સુનિશ્ચિત કરવાનો છે. આ કેસની વિગતો અને પુરાવાને ધ્યાનમાં રાખીને અદાલતે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટના ચૂકાદાઓ રદ્દ કર્યા હતાં. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે પિતાના મૃત્યુ પછી પરિવાર ભલે સંયુક્ત રહ્યો હોય પરંતુ તેના પિતા દ્વારા સ્વયં અર્જિત કરાયેલી સંપત્તિ પર તેની પુત્રીનો જ અધિકાર રહેશે.