ભારત-યુકે બિઝનેસ સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન બદલ બ્રિટિશ સરકારે ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનને માનદ નાઈટહૂડની ઉપાધિથી નવાજ્યા હતાં (British High Commission via PTI Photo)

ભારત-યુકે બિઝનેસ સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન બદલ બ્રિટિશ સરકારે ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનને માનદ નાઈટહૂડની ઉપાધિથી નવાજ્યા હતાં. બુધવારે રાત્રે બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાને એક કાર્યક્રમમાં તેમને ‘નાઈટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (KBE)’ એવોર્ડ એનાયત કરાયો હતો.

હાઈ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ટાટા ગ્રુપ યુકેમાં લાંબા સમયથી રોકાણકાર છે તથા ઓટોમોટિવ, સ્ટીલ, ટેકનોલોજી અને કન્ઝ્યુમર ક્ષેત્રોમાં બિઝનેસ ધરાવે છે. તે યુકેમાં નોકરીઓ, અદ્યતન ઉત્પાદન અને સ્વચ્છ ટેકનોલોજી તરફ સંક્રમણને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ટાટા ગ્રુપના ચેરમેન તરીકે તેમણે ઘણા વર્ષોથી યુકે-ભારત વ્યાપારિક સંબંધો અને યુકેમાં રોકાણ કરવામાં અસાધારણ યોગદાન આપ્યું છે.”

ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોને ચંદ્રશેખરનને “યુકેના એક શાનદાર મિત્ર અને ભારતના કોર્પોરેટ જગતમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાવ્યા હતાં. બ્રિટિશ રાજા ચાર્લ્સ ત્રીજા વતી કેમેરોને ચંદ્રશેખરનને આ સન્માન એનાયત કર્યું હતું.

આ પ્રસંગે ચંદ્રશેખરને કહ્યું હતું કે આ સન્માન ફક્ત તેમનું જ નથી, પરંતુ તે ટાટા ગ્રુપના તમામ સાથીદારોનું પણ છે. ૭૦,૦૦૦થી વધુ કર્મચારીઓ સાથે, ટાટા ગ્રુપે ટેકનોલોજી, કન્ઝ્યુમર, હોટેલ, સ્ટીલ, રસાયણો અને ઓટોમોટિવ ક્ષેત્રો તેમજ JLR અને ટેટલી જેવી પ્રતિષ્ઠિત બ્રિટિશ બ્રાન્ડ્સ સાથે યુનાઇટેડ કિંગડમ સાથે મજબૂત અને સ્થાયી સંબંધો બનાવ્યા છે.