(ANI Photo)

કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાત સરકારે 10મી વાયબ્રન્ટ ગુજરાત સમીટ મોકૂફ રાખવાનો ગુરુવાર, 6 જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો. વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ આ સમીટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ કરવાના હતા.

મુખ્યપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રાજ્યના લોકોમાં કોરોના અને તેના વેરિયન્ટ ઓમિક્રોનના ફેલાવો રોકવા માટે 10મી વાયબ્રન્ટ ગુજરાત સમીટ હાલમાં મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. વિશ્વ અને ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બુધવારે ગુજરાતમાં કોરોના વાઇરસના દૈનિક કેસ ગયા વર્ષના 26 માર્ચ પછી પ્રથમ વખત 3,000ને વટાવી ગયા હતા. બુધવારે રાજ્યમાં કુલ 3,350 કોરોના કેસ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં ઓમિક્રોનના 50 નવા કેસ નોંધાયા હતા અને તેનાથી કુલ કેસની સંખ્યા વધીને 204 થઈ હતી, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યપ્રધાન આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

મુ્ખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સમીટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન હરહંમેશ માનવજાતના કલ્યાણ, સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિતચિંતક રહ્યા છે. મુખ્યપ્રધાન જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડેલ છે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના રોકાણકારો, ઉદ્યોગકારો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે.

આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આ ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યને વિશ્વ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પાર કરાવે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે તેનું સમયબદ્ધ આયોજન કર્યું હતું.

આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા રાષ્ટ્રો તથા સમિટમાં આવનારા મહાનુભાવો, ડેલિગેશન પ્રત્યે મુખ્યપ્રધાને આભારની લાગણી વ્યક્ત કરી છે અને તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળશે તેવી અપેક્ષા દર્શાવી છે. ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમીટના પૂર્વાધ રૂપે યોજાયેલી પ્રિ-વાયબ્રન્ટ સમીટની સફળતામાં સહયોગી કેન્દ્ર સરકારના પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓનો આભાર માન્યો હતો. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, વેપાર-ઉદ્યોગ મંડળોએ ખૂબ જ ટૂંકાગાળામાં આવી સમીટના આયોજનને સફળ બનાવવા માટે આપેલા સહકારને બિરદાવ્યો છે.