
નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના મહાકુંભ સમાન ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટનો 16 ફેબ્રુઆરીથી પ્રારભ થયો હતો.20 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેનારી આ સમિટ માટે વિશ્વના નેતાઓ, ટેક મોગલ, AI સ્થાપકો અને રોકાણકારો હાજર આપશે. તે અત્યાર સુધીના AI દિગ્ગજોનો સૌથી મોટો મેળાવડો બની રહેશે. તેમાં આલ્ફાબેટના સુંદર પિચાઈ, ઓપનએઆઇના સેમ ઓલ્ટમેન, એન્થ્રોપિક પીબીસીના ડારિયો અમોડેઈ અને મેટા પ્લેટફોર્મ્સના એલેક્ઝાન્ડર વાંગ સહિતના આઇટી દિગ્ગજો હાજરી આપી રહી છે.
સમીટપ્રારંભ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભારત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ગ્લોબલ હબ બનવા માટે તૈયાર છે. દેશ વિશ્વના ડેટાને હોસ્ટ કરવા અને ટેકનોલોજી ક્રાંતિના આગામી તબક્કાનું નેતૃત્વ કરવા માટે પણ સંપૂર્ણ સજ્જ છે. મોદી સોમવારે ભારત મંડપમ્ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કર્યું હતું.
ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમીટની સાથે 16થી 20 ફેબ્રુઆરી દરમિયાન આ એક્સ્પો પણ યોજાશે. 70,000 ચોરસમીટર વિસ્તારોમાં 10 ક્ષેત્રોને આવરી લેતા આ એક્સ્પોમાં વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણવિદો અને સંશોધન સંસ્થાઓ, કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોને એક છત્ર હેઠળ એકઠા થશે.
આ કાર્યક્રમમાં 13 દેશોના પેવેલિયન પણ હશે, જે AI ઇકોસિસ્ટમમાં આંતરરાષ્ટ્રીય સહયોગનું પ્રદર્શન કરશે. આમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, સર્બિયા, એસ્ટોનિયા, તાજિકિસ્તાન અને આફ્રિકન દેશોના પેવેલિયનનો સમાવેશ થાય છે.
આ એક્સ્પોમાં ઊંચી વૃદ્ધિની સંભાવના ધરાવતા 600થી સ્ટાર્ટઅપ્સ પણ સામેલ થશે, જેમાંથી ઘણા વૈશ્વિક સ્તરે સુસંગત છે અને મોટા સોલ્યુશન તૈયાર કર્યા છે. આ સ્ટાર્ટઅપ્સ એવા ટેકનોલોજી સોલ્યુશનનું પ્રદર્શન કરશે, જે પહેલાથી જ વાસ્તવિક દુનિયામાં ઉપયોગમાં લેવાયેલા છે.
ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026માં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત 2.5 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય વૈશ્વિક એઆઈ ઇકોસિસ્ટમમાં નવી ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને વ્યવસાયિક તકોનું સર્જન કરવાનો છે.
તેમાં 500થી સેશનનું આયોજન કરાશે, જેમાં 3,250થી વધુ વિઝનરી વક્તાઓ અને પેનલ સભ્યો ભાગ લેશે. આ સેશનમાં વિવિધ ક્ષેત્રોમાં AIના પરિવર્તનશીલ પ્રભાવની ચર્ચાવિચારણા કરાશે તથા AI વિશ્વના દરેક નાગરિક માટે લાભકારક બને તે સુનિશ્ચિત કરવાના ભાવિ પગલાંની પણ વિચારણા કરશે.











