
ગુજરાત સહિત દેશભરમાં રવિવાર, 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના પાવન પર્વે શિવમંદિરોમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો. ભક્તોએ શિવલિંગ પર જળ, બીલીપત્રનો અભિષેક કરી શિવની આરાધના કરી હતી. જૂનાગઢના ગિરનાર, સોમનાથ, અમદાવાદ, સુરત સહિતના શિવમંદિરોમાં ભાવિકોએ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી.
વારાણસીમાં કાશી વિશ્વનાથ, ઉજ્જેનમાં મહાકાલેશ્વર, ગુજરાતમાં સોમનાથ અને ઉત્તરાખંડમાં કેદારનાથ જેવા મુખ્ય જ્યોતિર્લિંગોમાં વિશેષ ધાર્મિક વિધિઓ કરાઈ હતી. ઉજ્જૈનમાં મહાશિવરાત્રિ પર ભગવાન મહાકાલનો વિશેષ શણગાર કરાયો હતો.
ગિરનારની પવિત્ર તળેટીમાં વિશ્વ પ્રસિદ્ધ ‘મહા શિવરાત્રિ મેળા’ દરમિયાન નાગા સાધુઓની રવાડી નીકળી હતી અને મૃગી કુંડમાં સાધુઓએ શાહી સ્નાન કર્યું હતું. શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને રવાડીનો રૂટ 1.5 કિમીથી વધારી 2 કિમી કરાયો હતો, જેથી મહત્તમ લોકો નાગા સાધુઓના દર્શન કરી શકે. આ વર્ષે શાહી સ્નાનનું લાઈવ પ્રસારણ કરાયું હતું. શાહી સ્નાન સાથે 11 ફેબ્રુઆરીએ ચાલુ થયેલા જૂનાગઢના ‘મીની કુંભ’ તરીકે ઓળખાતો મહાશિવરાત્રી મેળાનોની પૂર્ણાહૂતિ થઈ હતી.
મહાશિવરાત્રીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જૂનાગઢ ભવનાથ મહાદેવામાં દર્શન કર્યાં હતાં. ગોંડલના મુક્તેશ્વર મહાદેવ મંદિરે ભસ્મ આરતી કરાઈ હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રિની ભવ્ય કરાઈ હતી. મંદિરમાં મોટી સંખ્યામાં શિવ-ભક્તોએ દર્શન કર્યા હતાં અને સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદ સાથે આખું વાતાવરણ શિવ-ભક્તિમાં રંગાયું હતું. મહા શિવરાત્રિના પાવન દિવસે અમદાવાદમાં આવેલા મીની સોમનાથ મંદિરમાં ખાસ આરતી કરાઈ હતી.











