
બ્રિટિશ સિંહાસનના એક વખતના આઠમા ક્રમના દાવેદાર એન્ડ્ર્યુની ધરપકડ બાદ કિંગ ચાર્લ્સે એક નિવેદન બહાર પાડી સાફ શબ્દોમાં જણાવ્યું હતુ કે “કાયદાએ તેનું કામ કરવું જોઈએ.” મહારાજાએ આ ધરપકડ બાદ પોતાના નિયત શાહી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
મહારાજા વતી બકિંગહામ પેલેસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે “હવે પછી જે થાય છે તે સંપૂર્ણ, ન્યાયી અને યોગ્ય પ્રક્રિયા છે જેના દ્વારા આ મુદ્દાની યોગ્ય રીતે અને યોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે.”
બકિંગહામ પેલેસે આ મહિનાની શરૂઆતમાં એક અભૂતપૂર્વ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરના વર્તન બાબતે પોલીસ તપાસને ટેકો આપવા માટે તૈયાર છે.
પેલેસે તે સમયે જણાવ્યું હતું કે “રાજાએ શબ્દોમાં અને અભૂતપૂર્વ પગલાં દ્વારા, શ્રી માઉન્ટબેટન-વિન્ડસરના વર્તનના સંદર્ભમાં સતત પ્રકાશમાં આવતા આરોપો પર તેમની ઊંડી ચિંતા સ્પષ્ટ કરી છે. જો થઇ રહેલા ચોક્કસ દાવાઓ શ્રી માઉન્ટબેટન-વિન્ડસરને લગતા હશે અને જો થેમ્સ વેલી પોલીસ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવશે તો અમે અપેક્ષા મુજબ પોલીસને સમર્થન આપવા તૈયાર છીએ. અગાઉ પણ કહેવામાં આવ્યું હતું તેમ, કિંગ ચાર્લ્સ અને મહારાણી કેમિલાના વિચારો અને સહાનુભૂતિ કોઈપણ અને તમામ પ્રકારના દુર્વ્યવહારનો ભોગ બનેલા લોકો સાથે રહ્યા છે, અને રહેશે.”
મહારાજા ચાર્લ્સની શાહી મુલાકાતો દરમિયાન જાહેર જનતાએ 77 વર્ષીય મહારાજાને હેરાન કરવામાં આવ્યા બાદ આ નિવેદન પેલેસ દ્વારા જાહેર કરાયું હતું.
શાહી વર્તુળો આ મુદ્દા પર વધતા દબાણ હેઠળ આવતા પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની ઓફિસે એક નિવેદન જારી કરી જણાવ્યું હતું કે “પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટનની સતત ખુલાસાઓથી ખૂબ ચિંતિત છે. તેમના વિચારો પીડિતો પર કેન્દ્રિત છે.”
રાજાશાહી વિરોધી કાર્યકરોએ એન્ડ્ર્યુની ધરપકડને મોટી જીત ગણાવી
રાજાશાહી વિરોધી કાર્યકરોએ રિપબ્લિકન હેતુ માટે એન્ડ્ર્યુની ધરપકડને એક મોટી જીત ગણાવી છે.
રિપબ્લિકના સીઈઓ ગ્રેહામ સ્મિથે જણાવ્યું હતું કે “ચાર્લ્સ અને વિલિયમે કેમેરા સામે એકસાથે ઊભા રહેવું જોઈએ. તેમણે સંપૂર્ણ નિવેદન આપવાની અને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવાની જરૂર છે.’’ એન્ડ્ર્યુની ધરપકડનો શ્રેય લેતા સ્મિથે કહ્યું હતુ કે ‘’જ્યારે પોલીસ તપાસ કરવામાં અનિચ્છા રાખતી હતી ત્યારે ખાનગી તપાસ કાર્યવાહી શરૂ કર્યા પછી આ ધરપકડ કરાઇ હતી. તેમણે શું જાણતા હતા અને ક્યારે, કેવી રીતે એન્ડ્ર્યુના વર્તનને આટલા લાંબા સમય સુધી નોંધવામાં આવ્યું ન હતું તે અંગે વાત કરવી જોઈએ. તેમણે એપ્સ્ટેઈનના ગુનાઓના પીડિતોની દુર્દશાને ઓળખવી જોઈએ અને જવાબદારી અને ન્યાયની જરૂરિયાત પર બોલવું જોઈએ.”













