File Picture: DYFI (Democratic Youth Federation of India) holds a protest against the screening of the movie 'The Kerala Story 2' and tears down its posters, in Kannur.

બોલીવૂડમાં થોડા દિવસો અગાઉ ત્રણ ફિલ્મોના નામે મોટો રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો હતો. જેમાં નીરજ પાંડે અને મનોજ બાજપેયીની ‘ઘુસખોર પંડત’ના નામ માટે વિવાદ થયો હતો. તો બીજી તરફ ‘ધ કેરલા સ્ટોરી-૨’ અને ‘યાદવજી કી લવ સ્ટોરી’ નામથી પણ વિવાદ વકર્યો હતો. આ ત્રણેય ફિલ્મોના નામને લીધે ઉગ્ર રાજકીય પ્રત્યાઘાત પડ્યા હતા અને તેમના ટાઈટલ્સની કાયદાકીય તપાસ કરવાની ફરજ પડી હતી.

‘ઘુસખોર પંડત’ના નિર્માતા નીરજ પાંડેએ સુપ્રીમ કોર્ટની આકરી ટીકાને પગલે તેનું નામ બદલવાની જાહેરાત કરી હતી. બીજી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી-2’નું ટ્રેલર રિલીઝ થતાં રાજકીય નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. કેરાલાના ડાબેરી મુખ્ય પ્રધાન પી. વિજયન અને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમીએ એવો આક્ષેપ કર્યો હતો કે, આ ફિલ્મથી કોમી મતભેદ વધશે અને કોમી શાંતિ ડહોળાશે. જ્યારે પોતાના જાતિસૂચક નામને લીધે વિવાદાસ્પદ બનેલી ત્રીજી ફિલ્મ ‘યાદવજી કી લવ સ્ટોરી’ છે. ‘ઘુસખોર પંડત’નો વિરોધ ભારતના બ્રાહ્મણોએ કર્યો હતો. આ મુદ્દો સુપ્રીમ કોર્ટના ગયો ત્યારે ન્યાયમૂર્તિઓએ તેના નામ સામે અણગમો દર્શાવી, આકરી ટકોર કરી હતી કે, અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઉપયોગ સમાજના કોઈ વર્ગને બદનામ કરવા માટે કરી શકાય નહીં. આથી તેમણે સુપ્રીમમાં એફીડેવિટ કરીને જાહેરાત કરી કે, અમે ફિલ્મનું ટાઈટલ ‘ઘુસખોર પંડત’ પરત ખેંચી લઈશું. અમારી ફિલ્મમાં કોઈ ધર્મ કે જાતિનું અપમાન નથી કરાયું. નીરજ પાંડેએ અદાલતને એમ પણ જણાવ્યું કે અમે ફિલ્મના પ્રમોશન સંબંધિત તમામ મટીરિયલ પાછું ખેંચી લીધું છે અને નવું ટાઈટલ પહેલા નામ જેવું નહીં હોય.

જાણીતા ફિલ્મકાર વિપુલ અમૃતલાલ શાહની 2022માં આવેલી ‘ધ કેરલા સ્ટોરી’એ વિશ્વભરમાં રૂ. 303 કરોડનો બિઝનેસ કર્યો હતો. તેના પ્રેરણા લઇને તેમણે તેની સિક્વલ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી-2’નું નિર્માણ કર્યું. આ ફિલ્મમાં ત્રણ જુદા જુદા રાજ્યોની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી એમની સાથે ધર્મ પરિવર્તન પછી કઈ રીતે નિકાહ પઢી અત્યાચાર ગુજારાય છે તેની કહાની છે. અબુ આઝમીએ તેને જુઠાણાં અને કોમી નફરત ફેલાવતી ફિલ્મ ગણાવી હતી. જ્યારે કેરાલના મુખ્ય પ્રધાને પણ તેનો વિરોધ કર્યો હતો.

બીજી તરફ ‘યાદવજી કી લવ સ્ટોરી’નું તો ટીઝર જોઈને જ નેતાઓમાં નારાજગી વ્યાપી હતી. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુ)ના પ્રવકતા રાજીવ રંજન પ્રસાદે એવો આક્રોશ ઠાલવ્યો હતો, કે ફિલ્મોનાં આવાં નામ સામાજિક તણાવ વધારવાનું કામ કરે છે. તેમણે સેન્સર બોર્ડને આવી ફિલ્મો બાબતે ગંભીર વલણ લેવાની અપીલ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આવાં ઉશ્કેરણીજનક નામ ટાળવાનો અનુરોધ કર્યો હતો.