માઇગ્રન્ટ્સ પાસેથી લેવાતો હેલ્થ ચાર્જ 624 પાઉન્ડ કરાશે

0
782
બોરીસ અને ઋષી (Photo by Matt Dunham - WPA PoolGetty Images)

ભારતીય બ્રિટિશર ચાન્સેલર ઋશી સુનકના બજેટની જોગવાઈઓના પગલે બ્રિટનના લાંબા ગાળાના વીઝા વધારે મોંઘા પડશે. ભારત સહિતના દેશોમાંથી આવનારા માઇગ્રન્ટ્સ પાસેથી વસુલાતી ફરજિયાત હેલ્થ ફી 400 પાઉન્ડથી વધારીને 624 પાઉન્ડ કરવા સૂચવાયું છે. જનરલ પ્રેક્ટીશનર પિતા અને ફાર્માસિસ્ટ માતાના સંતાન સુનાકે ઇમિગ્રશન હેલ્થ સરચાર્જમાં તોતિંગ વધારો સૂચવ્યો છે.

હાઉસ ઓફ કોમન્સમાં બજેટ પ્રવચનમાં 39 વર્ષના ચાન્સેલરે જણાવ્યું હતું કે એનએચએસનો માઇગ્રન્ટ્સને લાભ મળે છે. આપણે સૌ પણ તેમ ઇચ્છીએ પરંતુ લોકોને લાભ મળતો હોય તો તેની સામે લોકોએ પણ યોગદાન આપવું રહ્યું. હેલ્થ સરચાર્જ હાલમાં પણ લાગે છે પરંતુ લોકોને મળતા હેલ્થ બેનિફિટની સામે આ સરચાર્જ કાંઇ જ નહીં હોવાથી હેલ્થ ફીમાં બાળકો માટે રાહતદરની ઓફર સાથે 400 પાઉન્ડથી વધારી 624 પાઉન્ડ કરવા સૂચવાયું છે.

બાળકો માટે 470 પાઉન્ડની રાહતરૂપ હેલ્થ ફી સૂચવાઇ છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની હેલ્થ ફી 300 પાઉન્ડથી વધારી 470 પાઉન્ડ કરવામાં આવી છે. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ એપ્રિલ 2015માં દાખલ કરાયો હતો અને ડીસેમ્બર 2018માં 200 પાઉન્ડથી વધારીને 400 પાઉન્ડ કરાયો હતો.

ભારતીય બ્રિટિશર્સ ડોકટરોની યુકેની સૌથી મોટી પ્રતિનિધિ સંસ્થા બ્રિટિશ એસોસીએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીને યુકે હોમ ઑફિસને સરચાર્જ અંગે નવેસરથી વિચારવા રજુઆત કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આરોગ્ય સેવામાં સ્ટાફની અછતને પહોંચી વળવા વધારે હેલ્થકેર પ્રોફેશનલ્સની ભરતીના પ્રયાસોને સરચાર્જથી પ્રતિકૂળ અસર થઇ શકે છે. ભારતીય ઉદ્યોગોએ પણ ચેતવણી આપી છે કે હાલની ઉંચી વીઝા ફી ઉપર વધારાનો બોજો પ્રતિકૂળ નીડવશે.

ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના યુકે કાઉન્સિલ ઓફ ફેડરેશનના અધ્યક્ષા બેરોનેસ ઉષા પ્રશારે જણાવ્યું હતું કે યુકેમાં સંચલિત ભારતીય વેપાર ધંધા ઉપર આ વધારાનો બોજો પડશે.