ઓપરેશન સિંદૂર પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓ 26 અને 27મેએ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા બાદ તેઓ માતાના મઢ આશાપુરા મંદિરના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટનું નિર્માણ થયું છે, જેમાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું તેઓ લોકાર્પણ કરશે.
દાહોદ ખાતે પીપીપી મૉડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં 10 વર્ષમાં 1200 એન્જિન તૈયાર કરાશે અને ભવિષ્યમાં તેને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરાશે. દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં 100% મેઇક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે, તે 4600 ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. આ સાથે દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવી છે. દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટીવ એન્જિન તૈયાર થવાના છે. દાહોદમાં હાલ 4 એન્જિન તૈયાર થઇ રહ્યા છે. આ તમામ એન્જિન ઉપર મેન્યુફેકચરિંગ બાય દાહોદ લખાશે.
આ પ્રોજેક્ટના પગલે દાહોદ સહિતના વિસ્તારોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 હજાર માનવીઓને રોજગારી મળશે તેમજ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. આ ઉપરાંત, સૌથી નીચા બીડર તરીકે બહાર આવેલી મલ્ટિનેશનલ કંપની દ્વારા રેલવે એન્જિનના ઉત્પાદન માટે વિવિધ ચીજોની જરૂરિયાત માટે પાવર સેકટર, એન્જિનિયરિંગ સેકટરની નાની-મોટી કંપનીઓ માટે પણ ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે તક ઊભી થશે.
ઉલ્લેખનીય છે કે, 9000 એચપીના 6 એક્સલવાળા ઇલેક્ટ્રિક એન્જિનની સરેરાશ ઝડપ 75 કિ.મી. કલાક રહેશે. પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના પૂણે ડેપોમાં આ એન્જિનનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે.
