ભારત સરકારે દેશના એરપોર્ટો પર ડોમેસ્ટિક એરલાઇન્સ માટે લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જિસમાં ત્રણ મહિના માટે 25 ટકા કાપ મૂકવાની બુધવારે જાહેરાત કરી હતી. આનાથી ઈંધણના ઊંચા ભાવને કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલી એરલાઇન્સને થોડી રાહત થશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન લરામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે આ પગલાથી ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન મુખ્ય એરપોર્ટ પર એરલાઇન્સ દ્વારા ચૂકવવામાં આવતા લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં એરલાઇન્સને આશરે રૂ.400 કરોડની બચત થવાનો અંદાજ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA)ને તેના કાર્યક્ષેત્ર હેઠળના તમામ મુખ્ય એરપોર્ટ પર લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં 25 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ જારી કર્યો છે. આ ઘટાડો તમામ સ્થાનિક ફ્લાઇટ્સ માટે તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યો છે અને ત્રણ મહિનાના સમયગાળા માટે લાગુ રહેશે.
નાયડુએ જણાવ્યું હતું કે હાલના પડકારજનક સમયમાં પણ અમે સુનિશ્ચિત કર્યું છે કે ઇંધણના ભાવમાં વધારાને કારણે ડોમેસ્ટિક એરલાઇન્સની કામગીરી ખોરવાઈ ન જાય. વિશ્વમાં એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં 100 ટકાથી વધુ વધારો થયો છે, પરંતુ સરકારે એરલાઇન્સ કંપનીઓ પર માત્ર 25 ટકા બોજો નાંખ્યો છે. હવે એરલાઇન્સો અને તે મારફત મુસાફરોને મદદ કરવા માટે લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ પગલું આ હાલના મુશ્કેલ સમયગાળા દરમિયાન ઉડ્ડયન ક્ષેત્રને સ્થિર રાખવા અને મુસાફરો માટે ઉડાનની સરળતા સુનિશ્ચિત કરવાના મંત્રાલયના એકંદર પ્રયાસનો એક ભાગ છે. વધતા સંચાલન ખર્ચ સાથે ઝઝૂમી રહેલી એરલાઇન્સને આનાથી મોટી રાહત થશે.














