(istockphoto.com)

ભારતની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ 2025-26ના નાણાકીય વર્ષ વર્ષમાં વધીને રૂ.38,424 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી, જે ગયા નાણાકીય વર્ષમાં રૂ.23,622 કરોડની તુલનામાં 62.66 ટકાનો વધારો દર્શાવે છે. આ વધારો સંરક્ષણ ઉત્પાદનમાં પરિવર્તન દર્શાવે છે, જે ઉભરતા સંરક્ષણ નિકાસ હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે.

નિકાસ વૃદ્ધિમાં મોટાભાગનું યોગદાન જાહેર ક્ષેત્રની કંપનીઓએ આપ્યું હતું. આ સરકારી ડિફેન્સ કંપનીઓની નિકાસ પાછલા વર્ષના રૂ.8,389 કરોડની તુલનામાં 151 ટકા વધીને રૂ.21,071 કરોડ થઈ હતી. ખાનગી ક્ષેત્રની નિકાસ રૂ.17,353 કરોડને સ્પર્શી ગઈ હતી, જે નાણાકીય વર્ષ 25માં રૂ.15,233 કરોડથી આશરે 14 ટકાનો વધારો છે.
ભારતની સંરક્ષણ નિકાસ હવે 80 થી વધુ દેશોમાં પહોંચી ગઈ છે, જેમાં દેશમાં નિકાસકારોની સંખ્યા 128થી વધીને 145 થઈ છે, જે 13.3 ટકાનો વધારો દર્શાવે છે.​​​​​​​

ભારત મોટે ભાગે અત્યાર સુધી દુનિયામાં શસ્ત્રોનો સૌથી મોટો આયાતકાર દેશ રહ્યો છે, પરંતુ 2014માં નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવ્યા પછી આત્મનિર્ભર ભારત મિશન હેઠળ સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે. સરકારે ઘણા દેશોની ડિફેન્સ કંપનીઓ સાથે ટેકનોલોજી ટ્રાન્સફર સમજૂતીઓ કરીને હવે દેશમાં વિદેશી કંપનીઓ ઉત્પાદન કરે તેના પર ભાર મૂકી રહી છે.