અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામેની કાર્યવાહીના ભાગરૂપે બુધવારે બે મસ્જિદ સહિતના ચાર ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સવારથી જ જેસીબી અને હિટાચી મશીનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડિમોલિનનના આ બીજા રાઉન્ડમાં ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાનજી મંદિર અને દશામાના મંદિર સહિતના 4 ગેરકાયદે ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં.
પોલીસના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ધાર્મિક બાંધકામો દૂર કરવાના હોવાના કારણે કોઈ તંગદિલી ન સર્જાય તે માટે પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો છે. મંદિર અને મસ્જિદની અંદરના સામાનને બહાર કાઢવામાં આવ્યો અને બાદમાં તેને તોડવાની કાર્યવાહી કરાઈ હતી. તમામ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડીને કાટમાળ દૂર કરી દેવાશે અને આજુબાજુમાં દીવાલ પણ બનાવી દેવાશે
પહેલાં રાઉન્ડમાં 20 મેએ પણ ધાર્મિક દબાણો દૂર કરાયા હતાં. આ વિસ્તારમાં નાની-મોટી કુલ 9 મસ્જિદો આવેલી હતી, જેને તોડી પાડવામાં આવી હતી. ચંડોળા ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું હતું.
