Getty Images)

ભારતમાં કોરોનાની સ્થિતિ ગંભીરથી અતિ ગંભીર બની રહી છે. દેશમાં ગુરૂવારે 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ નવા 61,669 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 20.19 લાખને પાર થઈ ગઈ હતી. કોરોનાએ ગુરૂવારે વધુ 891નો ભોગ લીધો હતો. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 41,573 થયો છે.

જોકે, દેશમાં ગુરૂવારે કોરોનાના 49,619 દર્દી સાજા થયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 13.70 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે તેમ પીટીઆઈની યાદીમાં જણાવાયું છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા માટે સ્વાસ્થ્ય વિભાગની તૈયારી માટે પેકેજના બીજા હપ્તા પેટે રૂ. 890 કરોડ રિલિઝ કર્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિની ગંભીરતા એ બાબત પરથી સમજી શકાય છે કે દેશમાં કોરોનાના પહેલા એક લાખ કેસ થવામાં 110 દિવસનો સમય લાગ્યો હતો જ્યારે હવે માત્ર બે જ દિવસમાં કોરોનાના એક લાખ કેસ નોંધાયા છે અને ગુરૂવારે કોરોનાના કુલ કેસ 2,19,330 થયા છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે તેમ કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 13,70,347 દર્દીઓ સાજા થયા છે, જે દર્શાવે છે કે રિકવરી રેટ વધીને 67.84 ટકા થયો છે જ્યારે કોરોનાનો મૃત્યુદર વધુ ઘટીને 2.07 ટકા થયો છે. ઉપરાંત દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સરખામણીમાં રિકવરી કેસમાં 7,32,835નો વધારો થયો છે. દેશમાં કોરોનાના 5,95,501 એક્ટિવ કેસ છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું.

દરમિયાન કોવિડ-19 ઈમર્જન્સી રિસ્પોન્સ અને હેલૃથ સિસ્ટમની તૈયારી માટે બીજા હપ્તા પેટે કેન્દ્ર સરકારે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 890.32 કરોડ રિલિઝ કર્યા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે ઉમેર્યું હતું. પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કેસની કુલ સંખ્યાના આધારે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

બીજા હપ્તામાં નાણાકીય સહાય મેળવનારા રાજ્યોમાં છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસૃથાન, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ગોવા, ગુજરાત, કર્ણાટક, કેરળ, પંજાબ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને સિક્કીમ નો સમાવેશ થાય છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ‘સંપૂર્ણ સરકાર’ના ભાગરૂપે કોરોના સામે લડવા રાજ્યોને રૂ. 15,000 કરોડના પેકેજની જાહેરાત કરી હતી.

નાણાકીય સહાયના બીજા હપ્તાની રકમનો ઉપયોગ આરટી-પીસીઆર મશીનોની ખરીદી અને ગોઠવવા, આરએનએ એક્સટ્રેક્શન કિટ્સ, ટ્રૂનેટ અને સીબી-નાટ મશીનો સહિત ટેસ્ટિંગ માટે પબ્લિક હેલૃથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા, સારવાર માટે આઈસીયુ બેડ વધારવા ઓક્સિજન જનરેટર્સ લગાવવા સહિતની બાબતો માટે કરાશે.