ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર નજીક રવિવાર, 15 જૂનની વહેલી સવાલે નબળી દૃશ્યતા વચ્ચે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર એક ગુજરાતી સહિત તમામ સાત લોકોના મોત થયાં હતાં. આ દુર્ઘટના ગૌરીકુંડના જંગલોમાં બની હતી. તેમાં પાંચ યાત્રાળુઓ, પાયલોટ અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના એક કર્મચારીનું મોત થયું હતું.
હેલિકોપ્ટર સવારે 5:30 વાગ્યે કેદારનાથથી ગુપ્તકાશી જવા માટે ઉડાન ભરી હતી અને થોડીવાર પછી ક્રેશ થયું હતું. દુર્ઘટના સ્થળ ગૌરીકુંડથી લગભગ 5 કિમી ઉપર સ્થિત છે જેને ગૌરી માઈ ખાર્ક તરીકે ઓળખવામાં આવે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હેલિકોપ્ટર કેદારઘાટીમાં ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ વચ્ચે ક્રેશ થયું હતું અને તેમાં આગ લાગી હતી.
મૃતકોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના રહેવાસી હતાં.હેલિકોપ્ટરમાં સવાર થયેલા લોકોમાં મહારાષ્ટ્રના શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ (35), મહારાષ્ટ્રના કાશી (2), ગુજરાતના રાજકુમાર સુરેશ જયસ્વાલ (41), ઉત્તરાખંડના વિક્રમ સિંહ રાવત, ઉત્તર પ્રદેશના વિનુદ દેવી (66), ઉત્તર પ્રદેશના તુષ્ટિ સિંહ (19) અને પાયલોટ રાજવી સિંહનો સમાવેશ થાય છે.
રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને અન્ય એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
આ પહેલા, 8 મેના રોજ, ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી ધામ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં છ લોકોના મોત થયા હતા.૭ જૂનના રોજ, કેદારનાથ જઈ રહેલા એક હેલિકોપ્ટરને ટેકઓફ કર્યા પછી તરત જ ટેકનિકલ ખામી સર્જાતા રસ્તા પર જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું જેમાં પાયલોટ ઘાયલ થયો હતો પરંતુ તેમાં સવાર પાંચ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
