છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં તાજેતરમાં નક્સલવાદી સામેની અથડામણમાં ભાવનગર જિલ્લાના વતની અને સીઆરપીએફના એક કોબરા કમાન્ડો શહીદ થયા હતા. જ્યારે સુરક્ષા દળની વળતી કાર્યવાહીમાં એક નક્સલવાદીને ઠાર મરાયો હતો. આ શહીદ જવાન મેહુલ સોલંકી શિહોર તાલુકાના દેવગણા ગામના વતની હતા. શુક્રવારે તેમના પાર્થિવદેહને વતન લાવવામાં આવ્યો હતો અને પછી રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, તુમરેલ વિસ્તારમાં કેટલાંક નક્સલવાદીઓ છુપાયાં હોવાની બાતમીને આધારે સુરક્ષા દળોએ શરૂ કરેલાં સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓ સાથેના એન્કાઉન્ટરમાં મેહુલ સોલંકીને ગોળી વાગતાં તેઓ શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં કોબરા ટ્રૂપ્સના ત્રણ જવાનો ઇજાગ્રસ્ત થયાં હતાં. ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલ પહોંચાડવા માટે વાયુ સેનાના હેલિકોપ્ટર્સ રવાના કરાયા હતાં.
