યુકેના જૈન નેતાઓ સમુદાયના મુખ્ય મુદ્દાઓ એકસાથે લાવી શકે અને શાસન, સમુદાય સલામતી, જાહેર પ્રતિનિધિત્વ અને યુકેમાં જૈન ઓળખના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા તથા જાહેર જીવનમાં જૈન પ્રતિનિધિત્વ પર પ્રકાશ પાડવા નોર્થ વેસ્ટ લંડનના સ્ટેનમોરમાં અવંતિ હાઉસ સ્કૂલ ખાતે વન જૈન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી અને વન જૈન પેનલ દ્વારા આયોજિત આ કોન્ફરન્સ યુકેના 30થી વધુ જૈન સંગઠનોના નેતાઓને એકસાથે લાવી હતી.

આ પ્રસંગે બેરોનેસ શમા શાહ, લોર્ડ ક્રિશ રાવલ, લોર્ડ માઈકલ કાત્ઝ, બોબ બ્લેકમેન, એમપી, મેટ ટર્મેઈન, એમપી, કૃપાશ હિરાણી એએમ અને હેરોના મેયર અંજના પટેલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

વીરાયતન યુકેના નિલેશ કોઠારીએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમણે સાથે મળીને કામ કરવાના અને અહિંસા અને કરુણા જેવા જૈન મૂલ્યો પર ચિંતન કરવાના મહત્વ વિશે વાત કરી હતી.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ડૉ. મેહુલ સંઘરાજકાએ વન જૈનના તાજેતરના કાર્યો જેવા કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ઉજવણી અને વેટિકન સાથે આંતરધાર્મિક જોડાણનો જેવા વિશે વાત કરી હતી. તેમણે જૈનોની વસ્તીની સાચી ગણતરી માટે વિસંગતતાનો રોકવા સમર્પિત “જૈન” ટિક-બોક્સની માંગણી કરી જૈન હસ્તપ્રતોના પ્રોજેક્ટ પર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો.

ઓશવાલ એસોસિએશનના નિર્મલ શાહે મજબૂત શાસન, પારદર્શિતા અને યોગ્ય સુરક્ષા નીતિઓની જરૂરિયાત વિશે વાત કરી હતી. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઝુબિન રાઈટરે જણાવ્યું હતું કે સમુદાયો સાથે નજીકથી કામ કરવાથી હેરોમાં સલામતી સુધારવામાં મદદ મળી છે. કૃપાશ હિરાણીએ મેટ્રોપોલિટન પોલીસ સામે ભંડોળના દબાણ વિશે પણ વાત કરી હતી.

હાઉસ ઓફ લોર્ડ્સના પ્રથમ જૈન સભ્ય બેરોનેસ શમા શાહે તેમની યાત્રા અને રાષ્ટ્રીય સ્તરે જૈન સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાના મહત્વ વિશે વાત કરી હતી. લોર્ડ કાત્ઝ, મેટ ટર્મેઈન સાંસદ અને જૈન ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) ના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બોબ બ્લેકમેને મજબૂત સંસ્થાઓની જરૂરિયાત અને પોલીસી મેકર્સ સાથે સતત જોડાણની ચર્ચા કરી હતી.

આ કોન્ફરન્સમાં હિન્દુ વિરોધી નફરતની ઘટનાઓના ઓછા રિપોર્ટિંગ, વધુ સારી સુરક્ષાની જરૂરિયાત અને જાહેર જીવનમાં પ્રતિનિધિત્વ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.  તો વન જૈને સમુદાયને અસર કરતી નફરતની ઘટનાઓનું દસ્તાવેજીકરણ અને વિશ્લેષણ કરવા માટે એક રાષ્ટ્રીય રિપોર્ટિંગ પોર્ટલ વિકસાવવાની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં નેતૃત્વ અને જાહેર જીવનમાં મહિલાઓની ભૂમિકાને માન્યતા આપીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુવાનો, શિક્ષણ અને ભવિષ્ય માટે જૈન મૂલ્યોને મજબૂત રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવાના નિશ્ચય સાથે પરિષદનો અંત આવ્યો હતો.

/* */