(ANI Photo)

રાજસ્થાનમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન કાળા હરણનો શિકાર કરવાના કેસમાં સલમાન ખાન સહિતના કલાકારોની મુશ્કેલીઓ વધી છે. આ કેસમાંથી મુક્ત થયેલા સૈફઅલી ખાન, નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રે પણ હવે મુશ્કેલીમાં છે. તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટમાં કાળિયારના શિકાર કેસમાં લીવ-ટુ-અપીલ પર સુનાવણી થઈ હતી. જેમાં સૈફઅલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રને છોડી મૂકવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ મનોજકુમાર ગર્ગની કોર્ટે આ મામલાને અન્ય સંબંધિત કેસોની સાથે યાદીબદ્ધ કરવાનો આદેશ આપ્યો હતો.

એડવોકેટ મહિપાલ બિશ્નોઇએ જણાવ્યું હતું કે 1 ઓક્ટોબર 1998ના રોજ જોધપુરના કાંકાણી ગામમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’ની શૂટિંગ દરમિયાન કાળા હરણનો શિકાર થયો હતો. આ કેસમાં ટ્રાયલ કોર્ટે 5 એપ્રિલ, 2018ના રોજ સલમાન ખાનને દોષિત ઠેરવતાં પાંચ વર્ષની સજા ફટકારી હતી. જ્યારે સાથી આરોપી સૈફઅલી ખાન, નીલમ, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને દુષ્યંતસિંહને શંકાને આધારે છોડી મૂકવામાં આવ્યા હતા.

પછી સલમાન ખાને સેશન્સ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો અને તે ત્યારથી જામીન પર છે. રાજસ્થાન સરકારે સલમાનના જામીન અને અન્ય આરોપીઓને છોડી મૂકવાના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. વકીલ મહિપાલ બિશ્નોઇએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની અપીલ પર ટ્રાન્સફર પીટિશનને મંજૂર કરવામાં આવી છે અને સલમાન ખાનની સજા સંબંધિત મામલો પણ તેમાં સામેલ કરાશે. તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં કોઈ પણ પ્રગતિ થઈ નથી. તેથી, અમે કોર્ટમાં બંને અપીલની સાથે સંયુક્ત રીતે સુનાવણી કરવાની વિનંતી કરી હતી. હવે આ મામલાની સુનાવણી 28 જુલાઈએ થશે, જેમાં તમામ સંબંધિત કેસોની સંયુક્ત સુનાવણી થશે.

LEAVE A REPLY