(ANI Photo/Sansad TV)

ઓપરેશન સિંદૂરના મુદ્દે વિરોધ પક્ષો સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે જાહેરાત કરી હતી કે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાશે.

પ્રધાને જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ આ તારીખની ભલામણ કરી હતી અને તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી હતી. વિપક્ષની માગણી કરતાં તેમણે જણાવ્યું હતું કે ચોમાસું સત્રમાં નિયમો હેઠળ તમામ મુદ્દા પર ચર્ચા કરી શકાય છે. સંસદના બંને ગૃહનું સત્ર ત્રણ મહિનાથી વધુ સમયના બાદ 21 જુલાઈએ સવારે 11 વાગ્યે બોલાવવામાં આવશે.

અગાઉ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ નવી દિલ્હીમાં એક બેઠક યોજીને ઓપરેશન સિંદૂરના મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવાની એકસૂરે માગણી કરી હતી. 16 પક્ષોના નેતાઓએ આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. જોકે આ બેઠકમાં આમ આદમી પાર્ટી કે શરદ પવારની એનસીપીએ ભાગ લીધો ન હતો.

વિપક્ષના વરિષ્ઠ નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર, ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાનો યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો અને પાકિસ્તાનના ગોળીબારમાં સરહદી વિસ્તારોમાં નાગરિકોના મોત સહિત અનેક ઘટનાઓની ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવાની જરૂર છે. પહેલગામ હુમલા પછી અને ઓપરેશન સિંદૂર દરમિયાન તમામ વિપક્ષે સરકારને સમર્થન આપ્યું હતું અને હવે સરકારે ખાસ સત્ર બોલાવવાની તેમની માંગ સ્વીકારવી જોઈએ.

LEAVE A REPLY