કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા કરતાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભારતીયોને હવે કેનેડામાં સલામતી નથી લાગતી. કેનેડામાં ભારતના રાજદૂત હોવા છતાં તેમણે સતત સુરક્ષા વ્યવસ્થા સાથે ફરવું પડે તે અજુગતુ લાગે છે. કેનેડાએ આ સ્થિતિને ભારતીયોની સમસ્યા તરીકે ના મૂલવવી જોઈએ. આ કેનેડાની સમસ્યા છે. કેટલાંક કેનેડિયન નાગરિકો છે, જે આ સ્થિતિનું નિર્માણ કરી રહ્યાં છે.
કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ કે. પટનાયકની કેનેડામાં ભારતના નવા રાજદૂત તરીકે નિમણૂક કરી છે. ખાલિસ્તાન તરફી કટ્ટરવાદીઓનું નામ લીધા વગર પટનાયકે જણાવ્યું હતું કે, અહીં અનેક સ્થળોએ કેટલાંક જૂથો ભારતીય મૂળના નાગરિકોને ધમકાવતા હોય તેવી ઘટનાઓ છાશવારે જોવા મળી રહી છે.
કેનેડામાંથી ભારતીય નાગરિકોને જબરદસ્તીથી સ્વદેશ હાંકી કાઢવાના અહેવાલો વચ્ચે પટનાયકે આ ટિપ્પણી કરી હતી. 2024માં 1,997 ભારતીયોને કેનેડામાંથી બળજબરીથી ભારત પરત મોકલવામાં આવ્યાં હતાં. 2019માં 625 ભારતીયોને કેનેડામાંથી હાંકી કઢાયાં હતાં.
કેનેડિયન બોર્ડર સર્વિસિસ એજન્સી (સીબીએસએ)ના આંકડા અનુસાર, જુલાઈ 2025 સુધીમાં 1,891 ભારતીયોને દેશ છોડવા સૂચના અપાઈ હતી. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ તાજેતરમાં જ એક નિવેદનમાં દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવા માટેની યોજનાને વધુ આક્રમક બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉની જસ્ટિન ટ્રુડો સરકારના શાસન દરમિયાન ભારત અને કેનેડાના સંબંધો વણસ્યાં હતાં. જેને પગલે બંને દેશોએ એકબીજાના દેશમાંથી રાજદૂતોને પરત બોલાવી લીધાં હતાં.
