અનિલ કપૂર અભિનિત બહુચર્ચિત રાજકીય ડ્રામા ફિલ્મ ‘નાયક: ધ રિયલ હીરો’ની સીક્વલ પર લગભગ 25 વર્ષ બાદ કામ શરૂ થઈ રહ્યું છે. 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મના રાઇટ્સ અનિલ કપૂરે મેળવી લીધા હોવાની મીડિયામાં ચર્ચા હતી. આથી હવે તેની સીક્વલની પણ ચર્ચા શરૂ થઈ હતી.
અત્યાર સુધી ફિલ્મના કોપીરાઇટ ધરાવતા નિર્માતા દીપક મુકુટે હવે પુષ્ટિ કરી છે કે, નાયક-2 પર કામ ચાલી રહ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ અને અનિલ કપૂર સાથે મળીને નાયક-2નું નિર્માણ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, પીઢ અભિનેતા અનિલ કપૂર ફિલ્મમાં નિર્માતા હોવા ઉપરાંત અભિનય પણ કરશે.
25 વર્ષ અગાઉ બનેલી નાયક ફિલ્મનું મૂળ નિર્માણ એ. એસ. રત્નમે કર્યું હતું અને ત્યારબાદ ફિલ્મના હક નિર્માતા દીપક મુકુટ પાસે આવ્યા હતા. અનિલ કપૂરે તેમની પાસેથી રાઇટ્સ ખરીદી લીધા છે કે કેમ? તે પ્રશ્નના જવાબમાં દીપક મુકુટે એક અખબારને કહ્યું “હું અને અનિલ કપૂર મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છીએ. હાલ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, તેથી આ સમયે વધુ કંઈ કહેવું અયોગ્ય ગણાશે”. તેમણે આગળ પુષ્ટિ કરતાં જણાવ્યું, “હા, સીક્વલ પર કામ ચાલી રહ્યું છે અને અમે બંને મળીને તેનું નિર્માણ કરી રહ્યા છીએ.” પ્રોડક્શન શિડ્યૂલ અને કાસ્ટિંગ અંગે વિગતો આપ્યા વગર, તેમણે કહ્યું કે અનિલ કપૂર સીક્વલમાં અભિનય કરશે.
આ ઉપરાંત દીપક મુકુટે વધુમાં જણાવ્યું, “હું વધારે વિગતો આપી શકું નહીં, પણ એટલું કહી શકું કે અમે બંને મળીને આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. અફવાઓને લઈને અમને વાંધો નથી, પરંતુ હકીકત એ છે કે અમે સાથે કામ કરી રહ્યા છીએ. પ્રોજેક્ટ હાલ વિવિધ પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશું. આ એક લેગસી પ્રોજેક્ટ છે. લગભગ 25 વર્ષ થઈ ગયા. દરેક ફિલ્મનું પોતાનું નસીબ હોય છે. જ્યારે યોગ્ય સમય આવે, ત્યારે બધું બને છે. અમને લાગ્યું કે હવે તેનો યોગ્ય સમય છે. અમારી વચ્ચે સમજણ થઈ ગઈ છે અને અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.’ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સ્ક્રિપ્ટ અને અન્ય તમામ બાબતો નક્કી થયા પછી જ ફિલ્મ ફ્લોર પર જશે. અનિલ કપૂર, રાણી મુખર્જી અને અમરીશ પુરી અભિનિત બ્લોકબસ્ટર રાજકીય ફિલ્મ ‘નાયક: ધ રિયલ હીરો’ 7 સપ્ટેમ્બર, 2001ના રોજ રિલીઝ થઈ હતી. એસ. શંકર દિગ્દર્શિત આ ફિલ્મ તેમની 1999ની તમિલ ફિલ્મ મુધલવનની રીમેક હતી. ‘નાયક: ધ રિયલ હીરો’ શિવાજી રાવ ગાયકવાડની કહાની રજૂ કરે છે—એક સામાન્ય નાગરિક, જે ભ્રષ્ટ મુખ્યપ્રધાન બલરાજ ચૌહાણ (અમરીશ પુરી) સામે અવાજ ઉઠાવે છે. પડકાર સ્વરૂપે મુખ્યપ્રધાન શિવાજીને 24 કલાક માટે રાજ્ય સરકાર ચલાવવાની તક આપે છે.











