Veeraswamy Restaurant London

લંડનમાં રીજન્ટ સ્ટ્રીટ પર આવેલી અને ક્રાઉન એસ્ટેટ સાથે લીઝ વિવાદનો સામનો કરી રહેલી યુકેની સૌથી જૂની ભારતીય રેસ્ટોરન્ટ વીરાસ્વામીને લગભગ એક સદી પછી તેના દરવાજા બંધ કરવાની ફરજ પડી શકે છે.

1926માં સ્થપાયેલ, મિશેલિન સ્ટાર ધરાવતી રેસ્ટોરન્ટ લંડનમાં ભારતીય ભોજનનું એક સીમાચિહ્ન રહ્યું છે, જેમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુથી લઈને ચાર્લી ચેપ્લિન, માર્લોન બ્રાન્ડો અને પ્રિન્સેસ એન સુધીની સુપ્રસિદ્ધ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

વીરાસ્વામીને “વહેંચાયેલ સાંસ્કૃતિક ઇતિહાસનો જીવંત ભાગ” અને ભારત-બ્રિટિશ જોડાણોનું પ્રતીક ગણાવી વીરાસ્વામીના સમર્થકો હવે કિંગ ચાર્લ્સ ત્રીજાને હસ્તક્ષેપ કરવા હાકલ કરી રહ્યા છે.

આગામી અઠવાડિયામાં બકિંગહામ પેલેસમાં 18,000થી વધુ સહીઓ સાથેની પીટીશન રજૂ કરવામાં આવશે. રેમન્ડ બ્લેન્ક, મિશેલ રોક્સ અને રિચાર્ડ કોરિગન સહિતના સેલિબ્રિટી શેફ્સે પોતાનો અવાજ ઉઠાવ્યો છે, અને ક્રાઉનને વીરાસ્વામીને બંધ કરવા પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.

રેસ્ટોરન્ટની ઐતિહાસિક સ્થાન પર પ્રકાશ પાડતા વીરાસ્વામીના સહ-માલિક રણજીત મથરાણી ભારપૂર્વક જણાવે છે કે વીરાસ્વામી પેઢી દર પેઢીની યાદોનું પ્રતિનિધિત્વ કરે છે. યુકેને તંદૂર ઓવન અને કરી અને બીયરની ઉત્તમ બ્રિટિશ જોડીનો પરિચય વીરાસ્વામી રેસ્ટોરન્ટે કરાવ્યો છે.

ક્રાઉન એસ્ટેટ કહે છે કે ઇમારત, વિક્ટોરી હાઉસને રિફર્બીશમેન્ટની જરૂર છે જે સાઇટ પર રહેલા રેસ્ટોરન્ટ સાથે અસંગત છે. પ્લાનિંગ અરજીમાં આ જગ્યાને ઓફિસોમાં રૂપાંતરિત કરવી અને પ્રવેશદ્વારમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે, જે રેસ્ટોરન્ટને દુર્ગમ બનાવશે. ક્રાઉન એસ્ટેટે વૈકલ્પિક વેસ્ટ એન્ડ પરિસર શોધવા અને નાણાકીય વળતરમાં સહાયની ઓફર કરી છે. પણ અત્યાર સુધી કોઈ વ્યવહારુ દરખાસ્તો સામે આવી નથી.

માર્ચમાં યોજાનાર સેન્ટીનરી ડીનર આ રેસ્ટોરન્ટ માટે સમર્થન દર્શાવવા માટે સેલિબ્રિટી અને જાહેર હસ્તીઓને એકસાથે લાવશે. સોહો સોસાયટી સહિત ઝુંબેશકારો અને સ્થાનિક જૂથો દલીલ કરે છે કે વીરાસ્વામીને ગુમાવવાથી લંડનના ઇતિહાસ અને કલીનરી વારસાને મોટું નુકસાન થશે અને રેસ્ટોરન્ટને “સમુદાયિક મૂલ્યની સંપત્તિ” તરીકે માન્યતા આપવા માટે તેઓ દબાણ કરી રહ્યા છે.

આ સમરના અંતમાં લીઝ વિવાદ કોર્ટમાં જવાની સંભાવના હોવાથી, વીરસ્વામીનું ભાવિ અટવાયું છે.

LEAVE A REPLY