
ઐતિહાસિક ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને આંતરરાષ્ટ્રીય કોમર્સ માટેના નિર્ણાયક સમયે બ્રિટિશ બિઝનેસીસને વ્યૂહાત્મક લાભો અને સ્થિરતા પ્રદાન કરે છે અને એક મહત્વપૂર્ણ રાજદ્વારી અને આર્થિક સિદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે એમ મંગળવારે હાઉસ ઓફ લોર્ડ્સ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ કમિટીના રીપોર્ટમાં જણાવાયું છે.
સંસદ સમક્ષ રજૂ કરાતા તમામ કરારની તપાસ કરતી હાઉસ ઓફ લોર્ડ્સ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટટ કમીટીએ જુલાઈ 2025માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયા બાદ ભારત-યુકે કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) ની સમીક્ષા કરી હતી. ક્રોસ-પાર્ટી કમીટીએ આ કરારને “નોંધપાત્ર સિદ્ધિ” તરીકે વર્ણવ્યો હતો અને નોંધ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ યુએસ ટેરિફ સહિત વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે આ વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
સમિતિના અધ્યક્ષ, લોર્ડ પીટર ગોલ્ડસ્મિથે કહ્યું હતું કે “ભારે ભૂરાજકીય અશાંતિના સમયે યુકે એક મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર સાથે એક સીમાચિહ્નરૂપ કરાર પર પહોંચ્યું છે. અમે સ્વાગત કરીએ છીએ કે આ કરાર વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું પાલન કરે છે, જે નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વેપાર માટે માળખાને મજબૂત બનાવે છે.”
અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે CETA ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) સહિત યુકેના બિઝનેસીસને વૈવિધ્યીકરણ કરવામાં અને સપ્લાય ચેઇન્સને જોખમમુક્ત કરવામાં મદદ કરશે. એકવાર અમલમાં મુકાયા પછી, આ કરાર થકી યુકેના ગ્રાહકોને માલની વિશાળ પસંદગી અને ઓછી કિંમતોનો લાભ મળવાની અપેક્ષા છે. જો કે, સમિતિએ નોંધ્યું હતું કે કરાર નાણાકીય અને વ્યાવસાયિક સેવાઓ માટે મર્યાદિત નવી બજાર ઍક્સેસ પ્રદાન કરે છે અને કાનૂની સેવાઓ અને દ્વિપક્ષીય રોકાણ સંધિ માટે જોગવાઈઓનો અભાવ છે.
સમિતિના અધ્યક્ષ લોર્ડ ગોલ્ડસ્મિથે આ સોદાને એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ ગણાવી કહ્યું હતું કે ‘’FTA ને “જીવંત કરાર” તરીકે ગણવો જોઈએ, જેમાં સેવાઓ અને રોકાણ પર જોગવાઈઓને મજબૂત બનાવવા માટે સતત જોડાણ હોવું જોઈએ. FTAની શરતોને મજબૂત બનાવવા અને બંને રાષ્ટ્રો વચ્ચે હાલની સંવાદ પદ્ધતિઓનો ઉપયોગ કરવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા છે.
સમિતિએ યુકેના કૃષિ ક્ષેત્ર પર સંચિત વેપાર કરારોની અસરના મૂલ્યાંકનને ઉજાગર કરવાની અને બિન-ટેરિફ અવરોધોને દૂર કરવા માટે ભારત સાથે કામ કરવાની પણ સલાહ આપી હતી.
અહેવાલમાં વેપાર ભાગીદાર તરીકે ભારતના સ્કેલ અને મહત્વને સ્વીકારી આ કરારને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેનું એક સ્વાગતપૂર્ણ પગલું ગણાવાયું હતું. જો કે, પીયર્સે ચેતવણી આપી હતી કે યુકેના માલની નિકાસ કરતા બિઝનેસીસને ભારતીય નિકાસકારોની તુલનામાં વિલંબિત લાભનો સામનો કરવો પડી શકે છે, જેની સામે ભારતીય બિઝનેસીસને યુકેના બજારમાં તાત્કાલિક ઍક્સેસ મળશે.
“સીમાચિહ્નરૂપ” ભારત-યુકે CETA કરારથી દ્વિપક્ષીય વેપારમાં વાર્ષિક £25.5 બિલિયનનો વધારો થવાની અપેક્ષા છે, જે 2025માં યુકે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ દ્વારા નોંધાયેલા £47.2 બિલિયન કરતા નોંધપાત્ર વધારો છે.
અહેવાલમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે “સરકારે ખાતરી કરવી જોઈએ કે કરારના સંપૂર્ણ લાભો પૂરા થાય, યુકે-ભારત સંબંધોને વાસ્તવિક અને પ્રતીકાત્મક બંને રીતે મજબૂત કરવા માટે સંવાદની પદ્ધતિઓ અને નેટવર્કનો ઉપયોગ કરાવો જોઇએ અને ગતિશીલ ભૂરાજકીય વાતાવરણમાં નેવિગેટ કરવું જોઈએ.”
માર્ચની શરૂઆતમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં આ અહેવાલ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
- યુએસ ટેરિફ અને પડકારજનક વૈશ્વિક વેપારમાં ભારત સાથેના એફટીએને પૂર્ણ કરવું એક સમયે અશક્ય માનવામાં આવતું હતું.
- આ કરાર બિઝનેસીસ માટે ખૂબ જ જરૂરી સ્થિરતા આપી ભારત સાથે યુકેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવે છે.
- એફટીએ યુકેની કંપનીઓને સપ્લાય ચેઇનને વૈવિધ્યીકરણ અને જોખમ દૂર કરવામાં મદદ કરશે.












