અમેરિકન મીડિયા ઇતિહાસમાં થયેલી સૌથી મોટી છટણીમાં ધ વોશિંગ્ટન પોસ્ટે બુધવાર, 4 ફેબ્રુઆરીએ 300થી વધુ પત્રકારો અને કર્મચારીઓને છૂટા કરતા મીડિયા જગતમાં ચકચાર મચી હતી. આ છટણી તેના કુલ એડિટોરિયલ સ્ટાફની આશરે ત્રીજા ભાગની છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોના માલિકીના અમેરિકાના આ દિગ્ગજ મીડિયા હાઉસમાં આવી મોટાપાયે છટણીથી વોરઝોન, વૈશ્વિક રાજધાનીઓ અને વિશ્વના કેટલાંક સૌથી સંવેદનશીલ સ્થળોથી રિપોર્ટિંગ કરતા સંવાદદાતાઓમાં ભારે રોષ ફેલાયો હતો.
છટણી કરાયેલા પત્રકારોમાં આંતરરાષ્ટ્રીય બાબતોના કટારલેખક અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના પુત્ર ઇશાન થરૂરનો પણ સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશી બ્યુરો, સ્થાનિક રિપોર્ટિંગ ટીમો, સ્પોર્ટ્સ ડેસ્ક અને બિઝનેસ ડિવિઝનને સૌથી મોટો ફટકો પડ્યો છે. સમગ્ર આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ માળખાને તોડી પાડવામાં આવ્યુ હોય તેવું લાગે છે. વોશિંગ્ટન પોસ્ટના ભૂતપૂર્વ સ્ટાફ આને ફક્ત અખબાર માટે જ નહીં, પરંતુ વૈશ્વિક પત્રકારત્વ માટે ‘કાળો દિવસ’ ગણાવ્યો હતો.
ઇશાન થરુરે સોશિયલ મીડિયા X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે લોકશાહી અંધારામાં મરી રહી છે. ઇશાન થરૂર આશરે 12 વર્ષથી જોડાયેલા હતાં.”આજે મોટાભાગના ઇન્ટરનેશનલ સ્ટાફ અને ઘણા બધા અદભૂત સાથીદારો સાથે વોશિંગ્ટન પોસ્ટમાંથી મારી પણ છટણી થઈ છે. હું અમારા ન્યૂઝરૂમ માટે અને ખાસ કરીને પોસ્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા આપનારા અજોડ પત્રકારો – સંપાદકો અને સંવાદદાતાઓ માટે ખૂબ જ દુઃખી છું જે લગભગ 12 વર્ષથી મારા મિત્રો અને સહયોગી રહ્યા છે. તેમની સાથે કામ કરવું એ સન્માનની વાત છે.
થરૂરે 2017માં વર્લ્ડવ્યૂ કોલમ શરૂ કરવાની બાબતને યાદ કરી હતી. જેનો ઉદ્દેશ્ય વાચકોને “વિશ્વ અને તેમાં અમેરિકાના સ્થાનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવાનો હતો.
બેઝોસે 2013માં 250 મિલિયન ડોલરમાં ગ્રેહામ પરિવાર પાસેથી અખબાર ખરીદ્યું હતું. વોશિંગ્ટન પોસ્ટની સ્થાપના 1877માં થઈ હતી. તેનું ૨૦૨૫નું પેઇડ સરેરાશ દૈનિક સર્ક્યુલેશન ૯૭,૦૦૦ હતું, જે રવિવારે આશરે ૧,૬૦,૦૦૦ હતું, આ સર્ક્યુલેશન ૨૦૨૦માં ૨,૫૦,૦૦૦ સરેરાશ દૈનિક સર્ક્યુલેસનથી મોટો ઘટાડો દર્શાવે છે.













