પાકિસ્તાન T20 વર્લ્ડ કપની ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાના નિર્ણયને પાછો ખેંચી લે તેવી પૂરી શક્યતા છે. બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડે સમજાવ્યા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી વડાપ્રધાન શાહબાઝ શરીફને ભારત સામેની T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર પાછો ખેંચવાની વિનંતી કરવા સજ્જ બન્યાં છે, એમ PCBના એક સૂત્રે જણાવ્યું હતાં.
એવું માનવામાં આવે છે કે ભારત સામેની મેચ રમવા માટે નકવીએ કેટલીક શરતો મૂકી હતી. આ તમામ શરતોને ઇન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલે ફગાવી દીધી હતી. તેમની શરતોમાં ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ કરવાની અને બાંગ્લાદેશને સામેલ કરીને ત્રિકોણીય શ્રેણી યોજવાનો સમાવેશ થતો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટનો મુદ્દો ICCના અધિકારક્ષેત્ર હેઠળ આવતો નથી, પરંતુ ત્રિકોણીય શ્રેણીની માંગણીને ફગાવી દેવામાં આવી હતી. ભારત છેલ્લા એક દાયકાથી કોઈ ત્રિકોણીય ટુર્નામેન્ટ રમ્યું નથી.
નકવી સોમવારે આ મુદ્દા પરના તાજેતરની ગતિવિધિ વિશે શરીફને માહિતગાર કરશે. અહીં ઉલ્લેખનીય છે કે ભારત સામેની મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાવાની છે. નકવી વડા પ્રધાનને બાંગ્લાદેશ, શ્રીલંકા અને અમીરાત ક્રિકેટ બોર્ડ અને ICC સાથે આ મુદ્દે થયેલી વાતચીતથી માહિતગાર કરશે. શ્રીલંકા, અમીરાત અને બાંગ્લાદેશ બોર્ડની ચર્ચા અને અપીલને ધ્યાનમાં રાખીને નકવી વડાપ્રધાનને વર્લ્ડ કપમાં ભારત સામે રમવાની પરવાનગી આપવા કહે તેવી શક્યતા છે.














