ગુજરાતના જામનગરમાં હત્યાના ચાર કાવતરાં માટે ભારતે વોન્ટેડ જાહેર કરેલા જયસુખ રાણપરિયાએ યુકેની એક કોર્ટે ત્રણ વર્ષ પહેલા આપેલા પ્રત્યર્પણના આદેશ વિરુદ્ધ અરજી કરવાની લંડનની હાઇકોર્ટમાં મંગળવારે મંજૂરી માગી હતી.
જયેશ પટેલ તરીકે પણ જાણીતા 45 વર્ષીય રાણપરિયાએ દક્ષિણ-પૂર્વ લંડનની ઉચ્ચ સુરક્ષાવાળી HMP બેલમાર્શ જેલમાંથી વીડિયો લિંક મારફત હાઇકોર્ટમાં હાજરી આપી હતી. તેમના વકીલોએ હાઇકોર્ટમાં માનવ અધિકારના આધાર પર અને પ્રથમ દ્રષ્ટિએ કેસ માટે પૂરતા પુરાવાના અભાવે અપીલ કરવાની પરવાનગી માગી હતી.
આ અરજીમાં ડિસ્ટ્રિક્ટ જજ સારાહ-જેન ગ્રિફિથ્સની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના માર્ચ 2023ના રાનપરિયાના પ્રત્યર્પણને મંજૂરી આપતા ચુકાદાને પડકારાશે. આ પ્રત્યર્પણના આદેશને સંખ્યાબંધ આધારે પડકારવામાં આવશે. તેમાં ભારત સરકાર કરેલી વિનંતી પ્રત્યાર્પણના ગુના હેઠળની છે કે નહીં, ગુનાઓના પુરાવાઓ પર્યાપ્ત છે કે નહીં, પેરોલ વગર આજીવન કેદની સજાનું જોખમ, રાણપરિયાની માનસિક સ્થિતિ અને યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ (ECHR)ની કલમ 3ના ઉલ્લંઘનમાં ભારતીય જેલમાં ત્રાસ અને અપૂરતી તબીબી સંભાળનું જોખમ વગેરનો સમાવેશ થાય છે.
ભારતીય સત્તાવાળાઓ વતી હાજર રહેલા યુકેના ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)એ ન્યાયાધીશ ગ્રિફિથ્સના નિષ્કર્ષની તરફેણમાં દલીલ કરી હતી કે ભારત સરકાર (GOI) અને ગુજરાત રાજ્ય સરકારે આરોપીને ભારત પ્રત્યર્પણ કરવામાં આવે ત્યારે તેના માનવ અધિકારોના રક્ષણ માટે પર્યાપ્ત ખાતરીઓ આપી હતી.
ભારતની પ્રત્યર્પણ વિનંતી મુજબ રાણપરિયા સામે હત્યાના ચાર કાવતરાનો આરોપ છે અને દરેક એકબીજા સાથે જોડાયેલા છે. તે ગુજરાતના જામનગરમાં જમીનના વેચાણ અને વિકાસ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પાસેથી પૈસા અથવા મિલકત પડાવવાના પ્રયાસ સાથે જોડાયેલા છે.કોર્ટના દસ્તાવેજો અનુસાર કથિત કોન્ટ્રાક્ટ કિલિંગના કારણે એક પીડિત, એટલે કે એડવોકેટ કિરીટ જોશીનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રણ અન્ય લોકો બચી ગયા હતાં.
પ્રત્યર્પણની કાર્યવાહી 2018 અને 2021ની વચ્ચે થયેલા હત્યા, કાવતરું અને હત્યાના પ્રયાસના આરોપો પર કેન્દ્રિત છે. રાણપરિયા સામે ઇન્ટરપોલ રેડ નોટિસ જારી કરાઈ હતી અને 17 માર્ચ, 2021ના રોજ તેમની ધરપકડ થઈ હતી અને ત્યારથી લંડનનની જેલમાં છે.













