યુકેના મીડિયા રેગ્યુલેટર ઓફકોમે ભારતીય ડાયસ્પોરા-કેન્દ્રિત સેટેલાઇટ ચેનલ MATV ના પ્રસારણ લાઇસન્સ રદ કર્યા છે અને રેગ્યુલેટરી નિયમોના ભંગને કારણે લાંબી તપાસ બાદ તાત્કાલિક અસરથી સેવાઓ બંધ કરી દેવાઇ હતી.
શુક્રવાર 6 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ આ નિર્ણય, ઓગસ્ટ 2024માં શરૂ થયેલી તપાસ બાદ આવ્યો હતો અને રેગ્યુલેટરે તારણ કાઢ્યું હતું કે મિડલસેક્સ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન લિમિટેડ (MBCL) દ્વારા લાઇસન્સ “ખોટી રીતે રાખવામાં આવ્યા હતા”. ઓફકોમે કહ્યું કે MATVના લાઇસન્સ હોલ્ડર ટીવી ચેનલ પર રજૂ થતી સામગ્રી પરનું સંપાદકીય નિયંત્રણ દર્શાવવામાં નિષ્ફળ ગયા હતા, જે યુકેના કાયદા હેઠળ મૂળભૂત કાનૂની જરૂરિયાત છે.
એક લાઇસન્સ MATV નેશનલને આવરી લે છે, જે હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, ગુજરાતી અને પંજાબીમાં ભારતીય કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. MATV મ્યુઝિક સંબંધિત બીજું લાઇસન્સ નિષ્ક્રિય રહ્યું છે. બ્રોડકાસ્ટિંગ એક્ટ 1990 હેઠળ, લાઇસન્સ ધારકોએ તેઓ જે સેવાઓ ચલાવે છે તેના માટે સંપૂર્ણ સંપાદકીય જવાબદારી જાળવી રાખવી જોઈએ.
ઓફકોમે જણાવ્યું હતું કે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે MATV બ્રોડકાસ્ટિંગ લિમિટેડ યોગ્ય ઓફકોમ લાઇસન્સ રાખ્યા વિના અસરકારક રીતે સેવાઓ પૂરી પાડી રહી હતી – જે યુકેના કાયદા હેઠળ ફોજદારી ગુનો છે. આ મુદ્દાઓને ઉકેલવા માટે સંચાલકોને “નોંધપાત્ર સમય” આપવામાં આવ્યો હતો. પણ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે પાલનના પ્રયાસો ખતમ થઈ ગયા છે.
વોચડોગે MATV પરના સંભવિત રાજકીય પ્રભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તપાસકર્તાઓએ MBCL (MATV)ના કોમ્પલાયન્સ કોન્ટેક્ટ કુલદીપ સિંહ શેખાવત ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ધ ભારતીય જનતા પાર્ટી યુકે (OFBJP UK)ના વરિષ્ઠ પદાધિકારી હોવાનું જણાવ્યું હતું. ઓફકોમે યુકેના એવા નિયમો પર પ્રકાશ પાડ્યો જે બ્રોડકાસ્ટ લાઇસન્સ હોલ્ડરને – જેમના પ્રાથમિક ઉદ્દેશો રાજકીય પ્રકારના હોય તેમને ચેનલ પરનું નિયંત્રણ કરવાથી પ્રતિબંધિત કરે છે અને ઉમેર્યું હતું કે OFBJP UK તે વ્યાખ્યાને પૂર્ણ કરે તેવી “સંભાવના” છે.
તેના જવાબમાં, MATV એ દલીલ કરી હતી કે આ નિર્ણય રાજકીય રીતે પ્રેરિત હતો અને રેગ્યુલેટરના નિષ્કર્ષ પર વિવાદ કર્યો હતો. શેખાવતે MBCL પર સંપાદકીય અથવા નિયંત્રણની સત્તા હોવાનો ઇનકાર કરી ભારપૂર્વક જણાવ્યું હતું કે OFBJP UK ભારતીય ડાયસ્પોરાને ટેકો આપતી એક સામાજિક સંસ્થા છે, તે યુકેમાં રાજકીય સંસ્થા નથી. તેમણે ઉમેર્યું હતું કે રેગ્યુલેટરી આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે માલિકીનું પુનર્ગઠન કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
જો કે ઓફકોમે કહ્યું હતું કે તેને હજુ સુધી આવા કોઈપણ ફેરફારોની ઔપચારિક સૂચના મળી નથી અને તેની કાર્યવાહી ફક્ત યુકેના પ્રસારણ કાયદાના પાલન પર આધારિત છે, રાજકીય વિચારણાઓ પર નહીં.













